પાંચ મહિના પછી કોરોનાના 50,000થી વધુ નવા કેસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં પાંચ મહિના પછી કોરોનાના નવા 50,000થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલાં 23 ઓક્ટોબર, 2020એ 50,000થી વધુ કેસ નોંધાયા હતા, ત્યારે 54,350 કેસ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 53,476 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે છેલ્લા 24 કલાકમાં 251 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,17,87,534 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,60,692 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,12,31,650  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 26,490 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,95,192 પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.28 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.36 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 31,855, પંજાબમાં 2613, કેરળમાં 2456, કર્ણાટકમાં 2298 અને છત્તીસગઢમાં 2106ના નવા કેસ નોંધાયા છે. આ પાંચ રાજ્યો નવા કેસ સંદર્ભે ટોપ પર છે.

 દેશમાં 5.31 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 5,31,45,709 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 23,03,305 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.