ભાજપની નવી રાષ્ટ્રીય-કાર્યસમિતિમાંથી મેનકા ગાંધી, વરુણ આઉટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીએ 80-સભ્યોની નવી રાષ્ટ્રીય કારોબારીની આજે જાહેરાત કરી છે. પક્ષની આ ટોચની કાર્યસમિતિ વિશે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ કેટલાક ચોંકાવનારા અને આશ્ચર્યકારક નિર્ણયો લીધાં છે. જેમ કે, વરુણ ગાંધી અને એમના માતા મેનકા ગાંધીને આ સમિતિમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે માતા-પુત્રએ ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં બનેલા કિસાન-વિરોધી હત્યાકાંડને વખોડી કાઢતાં નિવેદનો કર્યા હતા તેને કારણે એમને આ જાકારો આપવામાં આવ્યો હોય એવું બની શકે છે. બીજી બાજુ, સમિતિમાં બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીને સામેલ કરવામાં આવ્યા છે.

ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને રાજનાથ સિંહ રાષ્ટ્રીય પદાધિકારી તરીકે સામેલ છે. કાર્યસમિતિમાં 50 વિશેષ આમંત્રિતો છે અને 179 સ્થાયી આમંત્રિત સભ્યો છે. ભાજપના બિહારમાંના સંસદસભ્ય રાધામોહનસિંહને રાષ્ટ્રીય કાર્યસમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પક્ષે કુલ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે.