વર્ષ 2023નું આખરી ચંદ્રગ્રહણ આવતીકાલે; ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબત

મુંબઈઃ આ વર્ષનું આખરી અને બીજું ચંદ્રગ્રહણ આવતીકાલે 28 ઓક્ટોબરે, શરદ પૂનમના દિવસે થવાનું છે. આ ગ્રહણ આંશિક અથવા ખંડગ્રાસ હશે. આ વર્ષે પહેલું ચંદ્રગ્રહણ 5 મેના રોજ થયું હતું. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી હિન્દૂ ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે. ચંદ્રગ્રહણ વિશેની કેટલીક મહત્ત્વની બાબતો નીચે મુજબ છેઃ

વર્ષનું આખરી ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે?

વર્ષનું આખરી ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. આ ઉપરાંત હિંદ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ અને દક્ષિણ પ્રશાંત મહાસાગર, આફ્રિકા, યૂરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા ખંડના ભાગોમાં દેખાશે. દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગના લોકોને આ ગ્રહણ જોવા મળશે.

વર્ષનું આખરી ચંદ્રગ્રહણ કઈ રાશીમાં અને કયા નક્ષત્રમાં થશે?

આ ચંદ્રગ્રહણ મેષ રાશી અને અશ્વિન નક્ષત્રમાં થવાનું છે. આ ગ્રહણની અસર તમામ 12 રાશીઓ પર થશે.

ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે શરૂ થશે અને સમાપ્ત થશે?

ભારતીય સમયાનુસાર આ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની રાતે 11.32 વાગ્યાથી શરૂ થશે અને 29 ઓક્ટોબરે રાતે 2.22 વાગ્યે સમાપ્ત થશે. 29 ઓક્ટોબરે રાતે 1.44 વાગ્યે ચંદ્રગ્રહણ અંતિમ ચરણમાં રહેશે.

સુતક કાળ

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી હિન્દૂધર્મીઓ ધાર્મિક દ્રષ્ટિએ તેને લગતા નિયમોનું પાલન કરશે. સુતક કાળમાં કોઈ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના બરાબર 9 કલાક પહેલા શરૂ થાય છે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 28 ઓક્ટોબરે બપોરે 3.15 કલાકે શરૂ થશે. સુતક કાળ દરમિયાન તમામ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. સુતક દરમિયાન કોઈ પૂજા કે ધાર્મિક વિધિ કરવામાં આવતી નથી. સુતક કાળ ગ્રહણ સમાપ્તિ સાથે પૂરો થાય છે.

ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?

જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડતાં ચંદ્રગ્રહણ થયું એમ કહેવાય. પૃથ્વીનો પડછાયો આંશિક રીતે ચંદ્ર પર છવાય તો આંશિક કે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થયું કહેવાય અને જો પૃથ્વીના પડછાયાથી ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તો ખગ્રાસ ચંદ્રગ્રહણ થયું કહેવાય.

કઈ રાશી પર ચંદ્રગ્રહણની શુભ અસર પડશે?

જ્યોતિષીઓના મંતવ્ય મુજબ આ ચંદ્રગ્રહણની મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશીનાં લોકો માટે લાભદાયી અસર રહેશે.

ચંદ્રગ્રહણ વખતે શું ન કરવું જોઈએ?

ચંદ્રગ્રહણના સમય દરમિયાન અન્ન સેવન કરવાની મનાઈ છે.