ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી લક્ષ્મીબાઈ કરાશે

ઝાંસીઃ ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે એનું નામ 1857ની પ્રથમ સ્વતંત્રતાસંગ્રામની વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રાખવામાં આવશે. ઝાંસીના જિલ્લાધિકારી આંદ્રે વામસીએ એની પુષ્ટિ કરી હતી. આ સંબંધે એક પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે. એ પ્રસ્તાવને આગળની કાર્યવાહી માટે કેન્દ્રને મોકલવાની સંભાવના છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ઝાંસીના સંસદસભ્ય અનુરાગ શર્માએ રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે ભલામણ કરી હતી. અમે નામ બદલવા માટે સહમતી આપી છે, અને એને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

ઝાંસીના સંસદસભ્યે કહ્યું હતું કે રેલવે સ્ટેશનનું નામ બદલવાનો પ્રસ્તાવ આશરે બે વર્ષ પહેલાં રેલવેની ઝોનલ મીટિંગમાં મૂકવામાં આવ્યો હતો. એ પ્રસ્તાવ બુંદેલખંડ ક્ષેત્રના જનપ્રતિનિધિઓની હાજરીમાં મૂકવામાં આવ્યો હતો. એ પછી આગળની કાર્યવાહી માટે એ પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકાર એ પ્રસ્તાવ આગળની કાર્યવાહી માટે કેન્દ્રને મોકલવાની તૈયારી કરી રહી છે. યોગી આદિત્યનાથ સરકાર પહેલાં જ ત્રણ મુખ્ય સ્થાનો અલાહાબાદનું પ્રયાગરાજ, મુગલસરાયનું દીન દયાળ ઉપાધ્યાય નગર અને ફૈઝાબાદનું અયોધ્યા કરી ચૂકી છે. જોકે અલાહાબાદ અને ફૈઝાબાદની વિપરીત આ મામલે શહેરનું નામ બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. રાજ્ય સરકાર જ્યાં પણ જરૂર હશે નામ બદલવાની ત્યાં આગળ વધશે, એમ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું.