તુર્કીને ભારતનો જવાબઃ અમારા આંતરિક મામલાઓમાં દખલ ન કરો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસે આવેલા તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાન વિશે નિવેદન આપતા ભારતે કડક જવાબ આપ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાની સંસદમાં પોતાના સંબોધનમાં કાશ્મીરીઓના સંઘર્ષની તુલના પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન વિદેશી શાસન વિરુદ્ધ તુર્કોની લડાઈ સાથે કરી. જમ્મૂ-કાશ્મીર પર એર્દોઆનના નિવેદનના સંદર્ભમાં ભારત તરફથી જવાબ આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, જમ્મૂ-કાશ્મીર મામલે આપવામાં આવેલા તમામ સંદર્ભોને ભારત ફગાવે છે. જમ્મૂ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે કે જે તેનાથી ક્યારેય અલગ ન થઈ શકે. તેમણે કહ્યું કે, અમે તુર્કીના નેતૃત્વને કહીએ છીએ કે તેઓ ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે અને ભારત તેમજ ક્ષેત્ર માટે પાકિસ્તાનથી ઉત્પન્ન આતંકવાદના ગંભીર ભય સહિત અન્ય તથ્યોની યોગ્ય સમજ વિકસિત કરે.

ભારતે પોતાની આપત્તિ વ્યક્ત કરવા છતા, તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને બીજીવાર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે તેમનો દેશ આ મામલે પાકિસ્તાનના વલણનું સમર્થન કરશે. કારણ કે આ બંન્ને દેશો સાથે જોડાયેલો વિષય છે. બે દિવસની યાત્રા પર પાકિસ્તાન પહોંચેલા એર્દોઆને પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા જાહેરાત કરી કે, તુર્કી આ સપ્તાહે પેરિસમાં એફએટીએફના ગ્રે લીલ્ટમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનના પ્રયાસોનું સમર્થન કરશે.