કોરોના સામે બે વેક્સિનનાં હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યાં છે…

નવી દિલ્હીઃ કોવાક્સિન નામની સંભવિત વેક્સિન (રસી)  વિકસાવનાર કંપની ભારત બાયોટેકે પછી અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાને કોરોના વાઇરસ સામેના જંગમાં રસીને પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ માટે સરકાર તરફથી લીલી ઝંડી મળી છે. દેશમાં માનવ પરીક્ષણો કરવા માટેની આ બીજી કોરોના વાઇરસની રસી છે. કોરોના વાઇરસથી પ્રભાવિત થનાર ભારત વિશ્વનો ચોથો સૌથી ખરાબ દેશ બન્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના આશરે 6.50 લાખ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં 22,771 નવા કેસ નોંધાયા છે.

વિશ્વભરના દવા ઉત્પાદકો કોવિડ-19ની વેક્સિન તૈયાર કરવા માટે આકાશપાતાળ કરી રહ્યા છે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ કહ્યું હતું કે કંપનીને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. આ અગાઉ ડ્રગ નિયામકે દેશની દેશની પ્રથમ સ્વદેશી કોરોના વાઇરસ સામેની વેક્સિન કોવાક્સિનને હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી છે. કોવાક્સિનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV)ના સહયોગથી વિકસાવી છે.

દેશમાં હવે કોરાના સામેની ટ્રાયલ્સ માટે બે રસીઓ તૈયાર છે…

  1. ઝાયડસ કેડિલા હેલ્થકેર લિ.એ કહ્યું હતું કે કંપનીને કોરોના વાઇરસની રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI પાસેથી મંજૂરી મળી છે.
  2. આ રોગચાળા દરમ્યાન કોરોનાની કટોકટી અને અનિશ્ચિત મેડિકલ જરૂરિયાતનોને ધ્યાનમાં રાખતાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની ભલામણને પગલે હ્યુમન ટ્રાયલ માટેની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી.
  3. સંભવિત વેકિસનને પ્રાણીઓમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિમાં વધારો દર્શાવ્યો હતો. વળી, આ એન્ટિબોડીઝ જંગલી વાઇરસને સંપૂર્ણ ખતમ કરવામાં સક્ષમ હતા, એમ ઝાયડસે નિવેદનમાં કકહ્યું હતું.
  4. સૂત્રોએ કહ્યું હતું કે કંપનીએ પ્રાણીઓ પર કરેલા રસીના પ્રયોગોના ડેટાને DCGIને સોંપ્યા હતા, જેમાં આ રસી સુરક્ષિત અને રોગપ્રતિકારક શક્તિ વધારનારી હોવાનું જણાયું હતું. ત્યાર બાદ ઝાયડસ કેડિલાને આ રસી માટે હ્યુમન ટ્રાયલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
  5. ઝાયડસ આ મહિને એની રસીનું દેશમાં અનેક જગ્યાએ 1000 માનવ પરીક્ષણો કરશે એમ કંપનીએ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે આ રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલ્સ પૂર્ણ થવામાં કંપનીને આશરે ત્રણ મહિનાનો સમય લાગશે.
  6. ICMRએ પણ કોવાક્સિનન માટેની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરીઓને ઝડપી બનાવતાં મેડિકલ સંસ્થાઓ અને હોસ્પિટલોની પસંદગી કરવા માટે કહ્યું હતું.
  7. કોરોના વાઇરસ સામેની વેક્સિનની તાકીદને જોતાં ICMR 15 ઓગસ્ટ સુધીમાં કોરોના વાઇરસ સામેની રસીને લોન્ચ કરવાની શક્યતા જુએ છે, જેમાં 12 ક્લિનિકલ ટ્રાયલ્સના સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યાં છે.
  8. કોવાક્સિનને ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી દ્વારા SARS-CoV-2માંથી લેવામાં આવ્યો છે.
  9. ભારત બાયોટેક કોરોના સામેની રસી બનાવવા ઝડપી કામગીરી કરી રહી છે. જોકે આ પ્રોજેક્ટમાં સામેલ તમામ ક્લિનિકલ ટ્રાયલનાં સ્થળોના સહયોગ પર અંતિમ પરિણામ નિર્ભરરહેશે, એમ ICMRએ પસંદ કરેલી સંસ્થાઓને જણાવ્યું હતું.
  10. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની જિનોમ વેલીમાં સ્થિત BSL-3 (Bio-Safety Level 3) ઉચ્ચ કન્ટેનમેન્ટ સુવિધામાં સ્વદેશી રીતે વિકસાવવામાં અને ઉત્પાદિત કરાઈ છે.

 

વિશ્વમાં કોરોના વાઇરસ સામે હજી સુધી અસરકારક રસી વિકસિત થઈ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે અનેક કંપનીઓ દ્વારા 100થી વધુ વેક્સિનને વિકસાવી છે, જેનાં હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યાં છે.