કોરોના સામે જંગઃ સરકારે જરૂરી તબીબી ઉપકરણો પરથી કસ્ટમ્સ ડ્યૂટી, હેલ્થ સેસ દૂર કર્યા

નવી દિલ્હીઃ જીવલેણ, ખતરનાક કોરોના વાઈરસ રોગચાળા સામે લડવા દ્રઢનિશ્ચયી બનેલી ભારત સરકારે અનેક પગલાં લીધા છે અને લઈ રહી છે. ગઈ કાલે એણે એક મહત્ત્વનો નિર્ણય લઈને કોરોના સામે લડવા માટે વેન્ટિલેટર્સ, PPE (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) જેવા જરૂરી તબીબી ઉપકરણોની આયાત પરની કસ્ટમ્સ ડ્યૂટી અને હેલ્થ સેસ દૂર કર્યા છે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કોરોના સામે લડવા માટે જરૂરી ઉપકરણો પરની કસ્ટમ્સ ડ્યૂટી અને હેલ્થ સેસ દૂર કર્યા.

સરકારે ફેસ અને સર્જિકલ માસ્ક અને કોવિડ-19 ટેસ્ટ કિટ્સ ઉપરથી પણ કસ્ટમ્સ ડ્યૂટી અને હેલ્થ સેસ હટાવી લીધા છે, જેથી દેશમાં આ પ્રોડક્ટ્સ સરળ રીતે ઉપલબ્ધ થઈ શકે.

કેન્દ્રીય રેવેન્યૂ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વેન્ટિલેટર્સ તથા અન્ય ચીજવસ્તુઓની તાત્કાલિક જરૂરિયાતનો વિચાર કરીને કેન્દ્ર સરકારે આ ચીજવસ્તુઓની આયાત પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી તથા હેલ્થ સેસ તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે હટાવી લીધી છે.

આ જકાત-મુક્તિ આ ચીજવસ્તુઓના ઉત્પાદન માટે વપરાતા કાચા માલ ઉપર પણ લાગુ પડશે.

બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી પરની આ માફી નિર્ણય આ વર્ષની 30 સપ્ટેંબર સુધી ઉપલબ્ધ રહેશે, એમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.