નવી દિલ્હી: ભારતમાં રૂપિયા 10 અને 20ના સિક્કાને અવાર નવાર ચર્ચા રહેતા હોય છે. હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં 10 અને 20ના સિક્કા બંધ થવાને લઈ મોટી જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, દેશમાં હાલ 10 રૂપિયાના કેટલાં સિક્કા અને નોટ ચાલી રહ્યા છે? જેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું કે, આજે પણ 10 અને 20ના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં છે. 31 ડિસેમ્બર 2024 સુધી 2,52,886 લાખ 10 રૂપિયાની નોટ બજારમાં ચાલી રહી છે, જેની કિંમત 25,289 કરોડ છે. વળી, 31 ડિસેમ્બર 2024 સુધી દેશમાં 79,502 લાખ 10 રૂપિયાના સિક્કા બજારમાં હાજર છે, જેની કિંમત 7950 કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો કે, શું દેશમાં 20 રૂપિયાની નવી નોટ છાપવા પર રોક લગાવવામાં આવી છે? આ સવાલનો જવાબ આપતાં નાણાં મંત્રાલયે કહ્યું કે, આ સત્ય નથી. એટલે સ્પષ્ટ છે કે, ભલે બજારમાં 10 અને 20 રૂપિયાની નોટ અને સિક્કા આપણને ઓછા જોવા મળતા હોય, પરંતુ તે ચલણમાં છે. સમયાંતરે બંધ થવા તેમજ ચલણથી બહાર હોવાની ખબર સામે આવે છે, તે સંપૂર્ણપણે ભ્રામક છે. નોંધનીય છે કે, સરકારે પહેલીવાર 20 રૂપિયાનો સિક્કો 2020માં રજૂ કર્યો હતો. તે સમયે સરકારે જણાવ્યું હતું કે, 20 રૂપિયાનો સ્કકો 12 ધારવાળો બહુકોણ હશે, જેમાં અનાજની આકૃતિ હશે, જે દેશમાં કૃષિનું પ્રભુત્વ દર્શાવશે. આ સિવાય એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કાની નવી શૃંખલા પણ બહાર પાડવામાં આવશે, જે ગોળાકાર ડિઝાઇનમાં હશે, જેના પર હિન્દી લિપિમાં મૂલ્ય લખેલું હશે.