મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કેમ કહે છે, જાણો…

નવી દિલ્હીઃ દેશભરમાં શ્રીરામ નવમી ધામધૂમથી ઊજવાઈ રહી છે. હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુનો અવતાર હોવા છતાં શ્રીરામે ક્યાંય પણ ઈશ્વરત્વનું પ્રદર્શન નથી કર્યું, પણ પ્રભુ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે? જો તમે નથી જાણતા તો આવો જાણીએ…

 શૌર્યનું પ્રતીક રામ

રામાયણમાં આપણે જોયુંસાંભળ્યું છે કે શ્રીરામ કિશોરાવસ્થામાં હતા, ત્યારથી ઋષિઓના યજ્ઞોમાં વિઘ્ન નાખતા રાક્ષસોનો વિનાશ કર્યો હતો. શ્રીરામે શૌર્યની સાથે પિતાથી કહ્યું હતું કે આપણો ક્ષત્રિયનો જન્મ આતતાયીઓથી પૃથ્વીને મુક્ત કરવા માટે છે.

પિતાની આજ્ઞા 

શ્રીરામ પિતા દશરથની દરેક આજ્ઞા શિર ઝુકાવીને સ્વીકારી લેતા. પછી એ રાજતિલકની તૈયારી હોય કે વનવાસ જવાની. પિતાના મૂક આદેશનું સન્માન કરતાં પત્ની સીતા અને લક્ષ્મણની સાથે ખુશી-ખુશી વનવાસ ચાલ્યા ગયા.

ગુરુનું હંમેશાં સન્માન

ભગવાન શ્રીરામની વિશ્વામિત્રથી માંડીને મહર્ષિ વશિષ્ઠ સુધીના ગુરુઓની તેમની અપાર ભક્તિ અને આસ્થાની વાતો સાંભળવા મળે છે. શ્રીરામે તેમને હંમેશાં ભગવાનની જેમ પૂજ્યા છે અને સન્માન્યા છે.

શ્રીરામે સર્વધર્મ સન્માન શીખવ્યો

શ્રીરામે દરેક જાતિ-ધર્મના લોકોનું સન્માન કર્યું છે. શ્રીરામ કથામાં બે પ્રસંગો છે- એક કેવટ પ્રતિ પ્રેમ અને બીજો શબરીની ભક્તિનીચલી જાતિ ભીલની શબરીના એઠા બોરને ભક્તિનું સન્માન આપતાં શ્રીરામે ગ્રહણ કર્યા હતા.

વિપરીત માહોલમાં સંયમ

શ્રીરામે ધનુષભંગ પછી પરશુરામ દ્વારા કડવાં વેણ સાંભળ્યા છતાં શ્રીરામે સંયમ નથી છોડ્યો અને ગુસ્સો પણ નથી વ્યક્ત કર્યો.

શ્રીરામે અયોધ્યાથી લંકા સુધીની યાત્રામાં ક્યારેય અતિક્રમણ નથી કર્યું. તેઓ ઇચ્છત તો રાવણવધ પછી લંકા નરેશ બની શકત, પણ એ તેમની મર્યાદાની વિપરીત વાત હતી. જેથી તેમણે વિભિષણને રાજપાટ સોંપી અયોધ્યા પરત ફર્યા.