એક મોટા ઓપરેશન બાદ બંધક બનાવાયેલા 23 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા

ફરુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં આરોપી ઠાર માર્યો ગયો છે. ઉત્તર પ્રદેશના DGP ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે બદમાશને વ્યસ્ત રાખ્યો હતો અને પોલીસે પાછળના દરવાજેથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં તેનું મોત થયું છે. જેમાં સુભાષ બાથમ ઠાર માર્યો ગયો હતો. ઘર્ષણમાં ઓરોપીની પત્ની પણ ઘાયલ થઇ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસની ટીમને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

જિલ્લાના મોહમ્દાબાદ વિસ્તારમાં જેલમાંથી જામીન પર બહાર આવેલ સુભાષે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકોને પોતાના ઘરે બોલાવ્યા હતાં. બાળકોને મુક્ત કરાવવા માટે પહોંચેલી પોલીસ પર આરોપીએ ફાયરિંગ કરતા 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે આરોપીના એક મિત્રને સમજાવવા માટે અંદર મોકલ્યો હતો, તેને પણ ગોળી વાગી છે. આરોપીએ 6 વખત ગોળીબાર કર્યો હતો અને ઘરની બહાર હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. આરોપીએ બાળકોને અંડરગ્રાઉન્ડ રૂમમાં બંધ કરી દીધા હતાં. આરોપીએ 35 કિલોગ્રામ દારૂગોળાથી આખા ઘરને ફૂંકી મારવાની ધમકી આપી હતી.

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલા પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્ય સેક્રેટીર, ડીજીપી, એડીજી લો એન્ડ ઓર્ડર અને ગૃહ વિભાગના પ્રમુખ સચિવને યોગીએ બાળકોને સુરક્ષિત છોડવાવા માટે તાત્કાલિક એક્શન લેવા માટે આદેશ આપ્યો હતો. બાદમાં યોગીએ ફરુખાબાદના ડીએમ અને એસપી સાથે ચર્ચા કરી. યોગીએ વીડિયો કોન્ફોરન્સિંગ કરીને ફરુખાબાદ પોલિસની ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે કલાકોથી ફારુખાબાદ પોલીસ શું કરી રહી હતી. કોઈ પણ રીતે બાળકો અને મહિલાઓને મુક્ત કરાવવામાં આવે. ત્યાર બાદ પોલીસની કાર્યવાહીમાં આરોપી ઠાર મરાયો હતો.