પિતાની સંપત્તિમાં પુત્રીઓને પણ ભાગ મળશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સંપત્તિના વારસા માટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પુત્રીઓને વગર વસિયતે મરનારા પિતાની સ્વ પાર્જિત સંપત્તિ વારસામાં મળી શકશે. પુત્રીઓને પરિવારના અન્ય સભ્યો જેવા કે મૃતકના પિતાના ભાઈઓના પુત્ર અને પુત્રીઓની જેમ સંપત્તિમાં હક મળશે, એમ કોર્ટે કહ્યું હતું. જોકોઈ મહિલા હિન્દુ વગર વસિયતે મરી જાય તો તેને તેના પિતા અથવા માતાની વારસામાં મળેલી સંપત્તિ તેના પિતાના વારસોની પાસે જશે, જ્યારે જે સંપત્તિ તેને પતિ અથવા શ્વસુરથી વારસામાં મળી છે, તે પતિના વારસોની પાસે જશે. આ ચુકાદો હિન્દુ ઉત્તરાધિકારના કાયદા હેઠળ હિન્દુ મહિલાઓ અને વિધવાની સંપત્તિના અધિકારોથી સંબંધિત છે.

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની ખંડપીઠનો આ ચુકાદો તામિલનાડુના એક પરિવારની પુત્રીઓના સંપત્તિની વહેંચણીના કેસને ફગાવી દેતાં મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલની સામે આવ્યો છે.

કાયદાએ હિન્દુઓના ઉત્તરાધિકારના કાનૂનમાં ફેરફાર કર્યો છે અને મહિલાઓની સંપત્તિના સંબંધે અધિકાર આપ્યો છે.

જસ્ટિસ મુરારીની ખંડપીઠે 51 પાનાંનો ચુકાદો લખતાં એ સવાલ પર પણ ધ્યાન આપ્યું હતું કે શું એવી સંપત્તિ પિતાના મૃત્યુ પછી પુત્રીને મળશે, જેનું વસિયત તૈયાર કર્યા વગર મૃત્યુ પામ્યા છે અને તેમનો કોઈ અન્ય કાયદેસરનો ઉત્તરાધિકાર નથી.

આ અધિનિયમ દરેક  વ્યક્તિ પર લાગુ થશે, જે કોઈ પણ સ્વરૂપે ધર્મથી હિન્દુ છે., જેમાં લિંગાયત, અથવા બ્રહ્મો પ્રાર્થના અથવા આર્ય સમાજના અનુયાયી પણ સામેલ છે. આ ઉપરાંત આ બૌદ્ધ, જૈન અને શીખ ધર્મના લોકો પર પણ લાગુ  થશે.