ભારતમાં કોરોના વાયરસના 10 દર્દીઓ સાજા થયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 80 થી વધારે થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે આ પૈકીના 10 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. તો દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 68 વર્ષની એક મહિલાએ કોરોનાથી પીડાઈને દમ તોડી દીધો હતો. આ પહેલા કર્ણાટકના કલબુર્ગીમાં એક વડીલનું મોત થયું હતું. દિલ્હીમાં થયેલા એક વૃદ્ધ મહિલાના મૃત્યુ મામલે વિગતો સામે આવી છે કે, તે મહિલા પોતાના દિકરાના સંપર્કમાં આવી હતી કે જે વિદેશ યાત્રાએથી પરત આવ્યો હતો અને તેને કોરોના વાયરસનો ચેપ લાગેલો હતો.

તેના સંપર્કમાં આવવાના કારણે મહિલાને પણ ચેપ લાગ્યો અને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. મહિલા પશ્ચિમી દિલ્હીમાં રહેતી હતી અને તેમને બ્લડ પ્રેશર અને ડાઈબિટીઝની પણ તકલીફ હતી. તેમનો દિકરો તાજેતરમાં સ્વિટઝર્લેન્ડ અને ઈટલીથી આવ્યો હતો. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે અને યૂરોપ આ બિમારીનું અત્યારે મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

તો કોરોનાને લઈને દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈપણ માધ્યમથી કોરોના વાયરસને લઈને અફવા ન ફેલાવવામાં આવે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિ, સંસ્થાન, કે સંગઠન પ્રિન્ટ અથવા તો ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમાચારને યોગ્ય રીતે જાણ્યા વગર અને તેના સાતત્યની તપાસ કર્યા વગર દર્શાવવામાં આવશે તો તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વના મુદ્દાઓ

  • આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, દિલ્હી, યૂપીથી નવા 5 કેસો સામે આવ્યા છે.
  • શનિવારે રાતથી 19 ચેકપોસ્ટથી જ ઈન્ટરનેશનલ ટ્રાફિકને મંજૂરી
  • નેશનલ ડિઝાસ્ટર કંટ્રોલ ફંડનો સરકાર ઉપયોગ કરી શકશે
  • સેનિટાઈઝર અને માસ્કને Essential commodities act માં લાવવામાં આવ્યા છે
  • સેનેટાઈઝર, માસ્કની કાળા બજારી પર 7 વર્ષની જેલ અથવા દંડ અથવા બંન્ને એક સાથે કરવામાં આવશે
  • કાળાબજારી પર સજા અને દંડ બંન્ને એક સાથે પણ હોઈ શકે છે