24 કલાકમાં કોરોનાથી 35નાં મોતઃ કેસનો આંક 5,100

નવી દિલ્હીઃ દેશમાં કોકરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 5,194 થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાઇરસે 149 લોકોના જીવ લીધા છે. જ્યારે 402 લોકોની સારવાર પણ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોના વાઇરસે 35 લોકનાં મોત થયાં છે અને નવા 773 કેસો સામે આવ્યા છે. આમ હવે કોરોના વાઇરસને કારણે દર્દીઓની સંખ્યા વધીને 5,000ને પાર થઈ ચૂકી છે.

પાછલા 24 કલાકમાં મધ્ય પ્રદેશમાં ચાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, ગુજરાત, ઓરિસ્સા અને પંજાબમાં એક-એકક વ્યક્તિનાં મોત થયાં છે. કોરોના વાઇરસથી અત્યાર સુધી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયાં છે. એ પછી ગુજરાત અને મધ્ય પ્રદેશ છે. અમેરિકામાં કોરોના વાઇરસને લીધે એક જ દિવસમાં 1,900 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી આ રોગને લીધે જીવ ગુમાવનારાઓની સંખ્યા 12,700ને પાર થઈ છે. 

ન્યુ યોર્ક અને ન્યુ જર્સીમાં સૌથી વધુનાં મોત

અમેરિકામાં આ રોગથી થતા મોતનો આંકડો સતત વધતો રહ્યો છે. અમેરિકામાં કોવિડ-19નું કેન્દ્ર ન્યુ યોર્કમાં 5,400 લોકોનાં મોત થયાં હતાં અને 1,38,000 લોકો સંક્રમિત થયાં હતા. આ પછી ન્યુ જર્સીમાં 1,200 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અહીં 44,416 કેસ સામે આવ્યા હતા. ટ્રમ્પ વહીવટે મંડળે જોકે વિશ્વાસ અપાવ્યો હતો આગામી કેટલાક દિવસોમાં આ રોગ પર કાબૂ મેળવી લેવાશે.

વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ વધીને 14,30,453 થયા છે, 82,133 લોકોનાં મોત થયાં છે અને આ રોગમાંથી 3,01,385 લોકો સારવાર મેળવી આ રોગમાંથી મુક્ત થયા છે.