કોરોના: બંગાળમાં નગર નિગમની ચૂંટણી ટાળી દેવાઈ

કોલકાત્તા: કોરોના વાઈરસની વધતી જતી ચિંતાઓ વચ્ચે પશ્ચિમ બંગાળમાં આગામી મહિને કોલકાત્તા નગર નિગમ સહિત 111 નગર પાલિકાઓમાં યોજાનાર ચૂંટણી છેવટે અટકાવી દેવામાં આવી છે. સોમવારે મળેલી સર્વપક્ષીય બેઠક પછી રાજ્ય ચૂંટણી પંચે સતાવાર જાહેરાત કરી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોરોનાને લઈને હાલ જે પરિસ્થિતિ છે તેમાં ચૂંટણી યોજવી શક્ય નથી. 15 દિવસ પછી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. તો હવે એવી અટકળો શરુ થઈ છે કે, રમજાન મહિના પહેલા નગર નિગમની ચૂંટણીઓ યોજવી શક્ય નહીં બને. 24-25 મે થી રમજાન શરુ થઈ રહ્યો છે, જેથી હવે જૂનમાં ચૂંટણી યોજાઈ તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, આગામી વર્ષે યોજાનાર બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા નગર નિગમની ચૂંટણીને સેમીફાઈનલ તરીકે જોવા આવી રહી છે. અગાઉ જ કોરોનાને પગલે બંગાળ વિધાનસભાનું બજેટ સત્ર 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે, આ પહેલા કેરળ, છત્તિસગઢ અને મધ્યપ્રદેશમાં પણ વિધાનસભા સત્ર સ્થગિત કરી દેવામાં આવ્યા છે.