કોરોનાના 3,82,148ના નવા કેસ, 3780નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,82,315 નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં સતત 14મા દિવસે કોરોનાના સાડાત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3780 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,06,65,148 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,26,188 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,69,51,731  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,38,439 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 34,87,229 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.03 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.10 ટકા થયો છે.

દેશમાં 16.04 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 16,04,94,188 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,84,989 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.