મુલુંડમાં રહેણાક મકાનમાં આગ લાગી; સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી

મુંબઈઃ શહેરના પૂર્વ ભાગમાં આવેલા મુલુંડ ઉપનગરમાં રેલવે સ્ટેશન નજીક આવેલી એક રહેણાક ઈમારતમાં આજે સવારે આગ લાગી હતી. અગ્નિશામક દળના જવાનોએ અડધા કલાકમાં જ આગને બુઝાવી દેવામાં સફળતા મેળવી હતી. ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પણ થઈ નથી.

આજે સવારે 11.30 વાગ્યાના સુમારે પાંચ માળવાળા ધીરજ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના ત્રીજા માળ પરના ઘરમાં આગ લાગી હતી. અગ્નિશામક દળને તે વિશે જાણ કરાયા બાદ તરત જ તેના જવાનો પાંચ ફાયર એન્જિન્સ અને વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અડધા કલાકમાં આગને બુઝાવી દીધી હતી. આગનું કારણ તત્કાળ જાણી શકાયું નહોતું, પરંતુ શોર્ટ સર્કિટને કારણે તે લાગી હોવાનું મનાય છે. મકાનમાં ઘણા લોકો રહે છે. આગ લાગ્યા બાદ ઘણા લોકો નીચે રસ્તા પર દોડી ગયા હતા તો બાકીનાને નીચે ઉતારવામાં આવ્યા હતા.