તો વીજબિલ માફી માટે ભાજપનું મહારાષ્ટ્રવ્યાપી જેલભરો-આંદોલન

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર જો વીજબિલ માફ નહીં કરે તો આવતી 24 ફેબ્રુઆરીએ રાજ્યવ્યાપી જેલભરો આંદોલન કરવાની ભારતીય જનતા પાર્ટીએ ચીમકી આપી છે. ભાજપના મહારાષ્ટ્ર એકમના મહામંત્રી અને રાજ્યના ભૂતપૂર્વ ઊર્જાપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકાર પરિષદમાં કહ્યું કે રાજ્ય વિધાનસભામાં ગયા વર્ષના બજેટ અધિવેશનમાં ઊર્જાપ્રધાને જાહેરાત કરી હતી કે 100 યુનિટના વપરાશ સુધી મફત વીજળી આપવામાં આવશે. પરંતુ એ ઘોષણાનો અમલ થયો નથી. આ નિર્ણયનો અમલ થાય તો રાજ્યમાં એક કરોડ 40 લાખથી વધારે સામાન્ય વીજગ્રાહકોને ફાયદો થઈ શકે. એ માટે રાજ્ય સરકારે 5,800 કરોડની જોગવાઈ કરવી પડે.

Image courtesy: Wikimedia Commons

બાવનકુળેએ કહ્યું કે ગયા વર્ષે કોરોના-લોકડાઉન વખતે અનેક ઉદ્યોજકો, નાના વેપારીઓ તથા સામાન્ય લોકોને ગેરવાજબી રકમના વીજબિલ આપવામાં આવ્યા હતા. એ ફરિયાદનો પણ ઉકેલ લાવવાનો છે. વીજળીવેરાના માધ્યમ મારફત મહારાષ્ટ્ર સરકારને દર વર્ષે 9,500 કરોડ જેટલી મહેસૂલી આવક થાય છે. આ રકમ વીજબિલ માફ કરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ.