મુંબઈ: કારગિલ વિજય દિવસ નિમિત્તે કાંદીવલીમાં વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન

મુંબઈ: 26 જુલાઈ 1999 ભારતીયોના ચિત્તમાં અને હૃદયમાં સચવાયેલી તારીખ છે. કારગિલની પહાડીઓ પર દગાથી કબજો જમાવનાર પાકિસ્તાની ઘૂસણખોરોને પછાડીને ત્યાંના શિખરો પર ભારતીય સેનાએ ફરી કબજો મેળવ્યો હતો.એ કારગિલ વિજય દિવસને ઉજવવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ ભાષાભવનના સહયોગમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.

કર્નલ મનીષ કચ્છી, હીરેન મહેતા અને પ્રફુલ શાહ

કાંદિવલીમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે’કારગિલ યુદ્ધ અને યુદ્ધ સાહિત્ય’નામે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. નિવૃત્ત લશ્કરી અધિકારી કર્નલ મનીષ કચ્છી ( નિવૃત્ત) કારગિલ યુદ્ધ વિષયક અજાણી માહિતી દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત દ્વારા આપશે. કારગિલ યુદ્ધ વખતે લશ્કરના બૅક ઓપરેશનમાં એમણે પોતાની સેવા આપી હતી. તેઓ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાત છે એટલે પ્રશ્નોત્તરી દ્વારા પણ એમની પાસેથી માહિતી મેળવવાની તક મળશે.

‘ચિત્રલેખા’ સાપ્તાહિકના તંત્રી હીરેન મહેતા કારગિલ યુદ્ધ વખતે યુદ્ધભૂમિ પર રહી રિપોર્ટિંગ કરનારા એકમાત્ર ગુજરાતી પત્રકાર હતા. એમણે એ સમયે યુદ્ધ વિશેના ઘણા લેખો લખ્યા હતા. તેઓ પણ પોતાના વક્તવ્યમાં એ સમયનો માહોલ શ્રોતાઓ સમક્ષ ઉભો કરશે. તેમજ આ કાર્યક્રમમાં પત્રકાર તથા લેખક એવા પ્રફુલ શાહ પણ વકતવ્ય આપશે. પ્રફુલભાઈએ વિવિધ મોરચે શહીદ થનારા આપણા જાંબાઝ જવાનો વિશે અનેક લેખો અને એક પુસ્તક લખ્યાં છે.

સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ત્રીજા માળના હૉલમાં યોજાયો છે. 28 જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે એશિયન બેકરીની સામેની ગલીમાં, ઈરાની વાડી, કાંદીવલી પશ્ચિમના સરનામે કાર્યક્રમનું આયોજન થયેલ છે. આ જાહેર કાર્યક્રમ છે, કોઈપણ ઈચ્છુક તેનો ભાગ બની શકે છે.