ભારત 15 માર્ચ સુધીમાં સેના પાછી ખેંચી લે : મોહમ્મદ મુઈઝુનું નિવેદન

માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો સતત વધી રહ્યા છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ રવિવારે ફરી એકવાર ‘ઈન્ડિયા આઉટ’ ના નારા લગાવ્યા. મોહમ્મદ મુઈઝુએ ફરીથી માલદીવમાંથી ભારતની સૈન્ય દળોને હટાવવાની માંગને પુનરાવર્તિત કરી છે. તેમણે 15મી માર્ચ સુધીની તારીખ આપી છે. આ પહેલા માલદીવે બે મહિના પહેલા ભારતીય સૈનિકોને હટાવવાની માંગ કરી હતી. જો સરકારી આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો માલદીવમાં 88 ભારતીય સૈનિકો છે. ચીનની તાજેતરની મુલાકાત બાદ સ્વદેશ પરત ફરેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ હવે ભારત વિશે સતત તીક્ષ્ણ નિવેદનો આપી રહ્યા છે. શનિવારના રોજ પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુઈઝુએ ભારતનું નામ લીધા વિના આડકતરી રીતે કહ્યું હતું કે ‘અમે ભલે નાના હોઈએ પરંતુ તેનાથી તેમને અમને ધમકી આપવાનું લાયસન્સ મળતું નથી.

માલદીવના રાષ્ટ્રપતિના કાર્યાલય સચિવે સરકારની નીતિનો ઉલ્લેખ કર્યો

અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પબ્લિક પોલિસી સેક્રેટરી અબ્દુલ્લા નાઝીમ ઈબ્રાહિમે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે રાષ્ટ્રપતિ મુઈઝુએ ઔપચારિક રીતે ભારતને 15 માર્ચ સુધીમાં તેના સૈનિકો પાછા ખેંચવા માટે કહ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સૈનિકો માલદીવમાં રહી શકે નહીં. માલદીવ સરકારની નીતિને ટાંકીને નાઝિમે કહ્યું કે આ રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ મુઇઝ્ઝુ અને તેમના વહીવટીતંત્રની નીતિ છે. સચિવે એવો પણ દાવો કર્યો છે કે સૈનિકો પાછા ખેંચવાના મુદ્દે બંને દેશો વચ્ચે એક ઉચ્ચ સ્તરીય કોર ગ્રૂપની રચના કરવામાં આવી છે. કોર ગ્રુપની પ્રથમ બેઠક રવિવારે વિદેશ મંત્રાલયના માલે ખાતેના મુખ્યાલયમાં યોજાઈ હતી. જેમાં બંને દેશોના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં માલદીવમાં ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર ભારત તરફથી હાજર હતા. માલદીવના પબ્લિક પોલિસી સેક્રેટરી નાઝિમ દ્વારા મીટિંગના એજન્ડાની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં નિયત સમયમર્યાદામાં સૈનિકો પાછા ખેંચવાના છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા આ બાબતે અને મીડિયા અહેવાલો પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

મોહમ્મદ મુઇઝુ 17 નવેમ્બરના રોજ માલદીવના નવા રાષ્ટ્રપતિ બન્યા

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ચીન તરફી નેતા તરીકે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે 17 નવેમ્બરે તેમણે માલદીવના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ તરત જ તેમણે માલદીવમાં ભારતીય સૈનિકોની તૈનાતી પર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી દુબઈમાં આયોજિત COP28 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહમ્મદ મુઈઝુની મુલાકાત થઈ હતી. તાજેતરમાં PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને મુઈઝુ સરકારના 3 મંત્રીઓ અને તેમની પાર્ટીના નેતાઓ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આના પર તેને દૂર કરવામાં આવ્યો હતો. આમ છતાં બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. મુઈઝુએ તેમની 5 દિવસની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરી હતી. આ પછી દરરોજ માલદીવ તરફથી ભારતને લઈને અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે.