જુનાગઢ: ૨૩મી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા. ૨૩ નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. આગામી તા. ૨૭ નવેમ્બર સુધી લાખો યાત્રાળુ ગિરનારની પરિક્રમા કરશે તે સંદર્ભે જુનાગઢ ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય, પરિવહન સહિત મુખ્ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

એસ.ટી. વિભાગની 150 એકેસ્ટ્રા બસો પરિક્રમાર્થીઓ માટે દોડશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાર્થીઓ માટે એસ.ટી. વિભાગ દ્વાર ૧૫૦ એકેસ્ટ્રા બસ પરિક્રમા દરમિયાન દોડાવશે. જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી ૫૦ મીની બસ પણ મુકવામાં આવશે. બીપી હાઇપર ટેન્શન અને હૃદય રોગના દર્દીઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર, આરોગ્ય કર્મચારી અને અન્ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆર (CPR)ની તાલીમ આપવામાં આવશે.

જુનાગઠ આવતા યાત્રિકો માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

પરિક્રમા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા, જાહેરનામાની અમલવારી, પીવાના પાણીની વ્યવસ્થા, અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જુનાગઢના જોવાલાયક અને તીર્થ સ્થળોએ પણ મુલાકાત લેતા હોય ત્યાં જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટેની કામગીર હાથ ધરાઈ છે. જેને કારણે કોઈ પરિક્રમાર્થીને અગવડ ઊભી નહી થાય.  પરિક્રમાના રૂટ પર તેમજ ભવનાથ વિસ્તારમાં કામ ચલાવ હંગામી દવાખાના પણ ઊભા કરવામાં આવશે. એક આઈસીયુ અને બે એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આગનો બનાવ બને તો તાત્કાલિક આગ કાબુમાં આવે તે માટે ફાયર ફાઈટર તેમજ બંધ વાહનને કારણે ટ્રાફિક નિયંત્રણ થાય તે માટે ક્રેઇન પણ મૂકવામાં આવશે.

યાત્રિકો માટે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા જારી

કેટલાક યાત્રિકો નિયત તારીખ કરતાં વહેલી પરિક્રમા શરૂ કરી દે છે એ બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી. યાત્રિક રૂટ ભૂલી જાય એવી સ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે. અગાઉ આ પ્રકારના બનાવ બન્યા હોવાથી યાત્રિકોને નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને વહેલી સવારે પરિક્રમા ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.