…તો ઈમરાન ખાને ગુમાવવી પડશે ખુરશી!

ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાની મદદથી સત્તા સંભાળનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી પર હવે સંકટના વાદળો મંડરાવા લાગ્યા છે. કોરોના મહાસંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં ઈમરાન ખાન અને સેના વચ્ચે મતભેદ વધી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની સેનાએ ઈમરાન ખાનના પાપોને પોતાના પર લેવાની ના પાડી દીધી અને તેમણે ઈમરાનને જૂન સુધીનો સમય આપ્યો છે.

વિશ્વમાં કોરોના મહામારીથી અત્યારસુધીમાં કુલ 95,751 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આશરે 22 કરોડની વસતી ધરાવતું પાકિસ્તાન અત્યારે આ મહામારી સામે ઝઝુમી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 65 જેટલા લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં સ્થિતિને સંભાળવા માટે ઘણીય જગ્યાઓ પર લોડકાઉન કરી દેવામાં આવ્યું છે. આખા દેશમાં સ્થિતિને સંભાળવા માટે સેનાને તેનાત કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં જેમ-જેમ કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે, ઈમરાન ખાન સરકાર વિવાદોમાં આવતી જઈ રહી છે. ઈમરાન ખાન સરકાર પર ચીન અને ઈરાનમાં થયેલા મોતથી કોઈ જ શીખ ન લીધી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અત્યારસુધીમાં કોરોના સંકટને અત્યંત હળવી રીતે લઈ રહેલા ઈમરાન ખાન પર કોઈ નિર્ણાયક એક્શન લેવાનું દબાણ સતત બની રહ્યું છે. ઈમરાન ખાન દાવો કરી રહ્યા છે કે, તેઓ જાન્યુઆરીથી આ મહામારી પર નજર રાખી રહ્યા છે પરંતુ તેમણે 12 માર્ચ સુધી કોઈ જ ઈમરજન્સી બેઠક કરી નથી.