પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વચ્ચે આગામી 24થી 36 કલાકમાં ભારત દ્વારા હુમલો થવાની શક્યતા પણ પાકિસ્તાને વ્યક્ત કરી છે. છેલ્લા પાંચ દિવસથી પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગઈકાલે તેણે પાકિસ્તાનના ચેકપોઈન્ટ્સ પરથી ગોળીબાર કર્યો હતો. જો કે, ભારતે પાકિસ્તાનને તેનો મજબૂત જવાબ આપ્યો હતો.
સૂત્રોની જાણકારી પ્રમાણે, ગઈકાલે રાત્રે પાકિસ્તાને જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. છેલ્લા છ દિવસથી પાકિસ્તાનની સેના સતત સીઝફાયરનો ઉલ્લંઘન કરી રહી છે. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતનો તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. સુરક્ષાદળો સરહદ પર ચુસ્ત બંદોબસ્ત સાથે ચાપતી નજર રાખી રહ્યા છે. મંગળવારે સવાર સુધી પાકિસ્તાનની સેનાએ એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બાદમાં ગઈકાલે મોડી રાત્રે જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આતંરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. નાના હથિયારોથી પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે.
29-30 એપ્રિલની રાત્રે પણ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં એલઓસી પાસે ગોળીબાર કર્યો હતો. તે પાકિસ્તાની ચેકપોઈન્ટ્સ પરથી ગોળીબાર માટે ડિફેન્સ અને આર્ટિલરી ગનના બદલે નાના હથિયારોનો ઉપયોગ કરી રહી છે. ભારતીય સેનાના જવાનોએ તેના સીઝફાયર ઉલ્લંઘનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન પરાગવાલ સેક્ટરમાં સક્રિય બનતાં આ વિસ્તારમાં બીએસએફની હાજરી વધારવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બીએસએફ તૈનાત છે. આઈબીનો કુલ 209.8 કિમી હિસ્સો અખનૂરથી માંડી લખનપુર સુધી ફેલાયેલો છે. આખા કાશ્મીરમાં LOCની લંબાઈ 343.9 કિમી છે, જ્યારે જમ્મુમાં 224.5 કિમી LOC સરહદ આવેલી છે.
પુલવામા, શોપિયાં, ત્રાલ અને અનંતનાગના ઉપરના વિસ્તારોમાં RR ની ટીમ આતંકવાદીઓનો પીછો કરી રહી છે. આ વિસ્તારોમાં લશ્કર-એ-તૈયબા અને ફિદાયીનના આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. જેકેપી અને સીઆરપીએફને તમામ ઘરોની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.
