ટ્રમ્પની ધરપકડનું ઈરાને કાઢ્યું વોરન્ટ; પકડવા ઈન્ટરપોલની મદદ માગી

તહેરાનઃ બગદાદમાં કરાયેલા ડ્રોન હુમલામાં એક ટોચના ઇરાની જનરલના નિપજેલા મોત બદલ ઇરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય લોકોની ધરપકકડ માટે વોરન્ટ જારી કર્યું છે અને એના માટે ઇન્ટરપોલની મદદ માગી છે. એક સ્થાનિક ફરિયાદીએ આ માહિતી આપી છે. ઇરાનના આ પગલાથી ટ્રમ્પની ધરપકડ થવાનું કોઈ જોખમ તો નથી, પરંતુ આ આરોપથી ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.  

ઇરાન અને વિશ્વના અગ્રણી દેશોની સાથે પરમાણુ સમજૂતીથી ટ્રમ્પના અલગ થઈ ગયા પછી બંને દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થયો છે. તહેરાનના ફરિયાદી અલી અલકાસીમહરે કહ્યું હતું કે ઇરાને ગઈ ત્રીજી જાન્યુઆરીએ બગદાદમાં થયેલા હુમલામાં ટ્રમ્પ અને 30થી વધુ અન્ય લોકો સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. તે હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું.

અલકાસીમરે ટ્રમ્પ સિવાય અન્ય કોઈની ઓળખ નથી કરી, પણ તેણે ભાર દઈને કહ્યું છે કે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા પછી પણ ફરિયાદ જારી રાખશે.  ફ્રાંસના લિયોનમાં સ્થિત ઇન્ટપોલને ટિપ્પણી આપવા માટે વિનંતી કરવામાં આવી છે, પણ એણે કોઈ જવાબ નહોતો આપ્યો. એવી સંભાવના નથી કે ઇન્ટરપોલ ઇરાનની વિનંતીને સ્વીકારશે, કેમ કે એના દિશા-નિર્દેશ અનુસાર એ કોઈ રાજકીય મામલે હસ્તક્ષેપ ના કરી શકે.

અમેરિકાએ હવાઈ હુમલામાં કાસિમ સુલેમાનીને માર્યો હતો

અમેરિકા અને ઇરાનની વચ્ચે ટેન્શનને કારણે અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન અમેરિકી સ્ટ્રાઇકમાં ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ના વરિષ્ઠ જનરલ અને કુદ્સ ફોર્સ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. એની સાથે ઇરાકમાં ઇરાન સમર્થિત પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સના કમાન્ડર અબુ મેહંદી અલ મુંહદીસ પણ માર્યો ગયો હતો.

જાસૂસી ઓપરેશન્સનો વડો હતો જનરલ સુલેમાની

રિવોલ્યુશનરી ગાર્ડ઼ ઇરાની સશસ્ત્ર સેનાનું અંગ છે. જોકે અમેરિકાએ એપ્રિલ, 2019માં એને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું હતું. જોકે જનરલ સુલેમાનીનું મોતનું કારણ અમેરિકી કાર્યવાહી હતી, જે એક રેર ઘટના હતી, જેમાં કોઈ દેશના સૈન્ય કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો હોય. જનરલ સુલેમાનીને IRGCના વિદેશોમાં ચાલી રહેલાં જાસૂસી ઓપરેશન્સ ને ઇરાન સમર્થિત જૂથોના સંચાલનનો વડો હતો.

રેડ કોર્નરનો અર્થ

આ નોટિસ અપરાધીઓની ધરપકડ અથવા અન્ય પ્રત્યાર્પણને હાંસલ કરવા માટે જારી કરવામાં આવે છે. રેડ કોર્નર નોટિસની મદદથી ધરપકડ કરવામાં આવેલા અપરાધીને તેના દેશમાં મોકલવામાં આવે છે, જ્યાં તેણે ગુનો કર્યો હોય છે. ત્યાં જ તેના દેશના કાયદા મુજબ તેના પર કેસ ચાલે છે અને સજા આપવામાં આવે છે. જે વ્યક્તિની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. ઇન્ટરપોલ એ વ્યક્તિની ધરપકડ કરવા માટે કોઈ સભ્ય દેશને મજબૂર ના કરી શકે.