કેનેડામાં નાયગરા ધોધને તિરંગાના રંગોની રોશનીથી ચમકાવાયો

ટોરોન્ટોઃ 15 ઓગસ્ટે ભારત દેશે પોતાનો 74મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસની ઉજવણી ઘણા દેશોમાં પણ કરવામાં આવી. કેનેડામાં વિશ્વપ્રસિદ્ધ નાયગરા ધોધને ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ – કેસરી, સફેદ, લીલાની રોશની કરીને ચમકાવવામાં આવ્યો હતો.

ટોરન્ટોસ્થિત ભારતીય કોન્સલ જનરલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તિરંગાનાં રંગમાં ચમકતા નાયગરા ધોધનો વિડિયો શેર કર્યો છે.

ટોરન્ટોમાંનાં ભારતીય મહિલા કોન્સલ જનરલ અપૂર્વા શ્રીવાસ્તવની આગેવાની હેઠળ 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નાયગરા ધોધને ભારતીય ઝંડાના ત્રણ રંગોની રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

વિડિયો-ટ્વીટ સાથે અપૂર્વા શ્રીવાસ્તવે લખ્યું હતું: નાયગરા ધોધ ખાતે ભારતનો ચળકાટ.

નાયગરા ફોલ્સ ઈલ્યુમિનેશન બોર્ડ દ્વારા ધોધને તિરંગાની લાઈટ્સથી વિશેષ રીતે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ઈન્ડો-કેનેડા આર્ટ્સ કાઉન્સિલે કર્યું હતું.

કોરોના વાઈરસના ફેલાવાને કારણે અનેક નિયંત્રણો વચ્ચે કેનેડાભરમાં ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભારતીય-કેનેડિયન સમુદાયનાં લોકોએ ભારતના આઝાદી દિવસની ઉજવણી રૂપે કેનેડાના અનેક શહેરોમાં કાર રેલી યોજી હતી. એને ‘તિરંગા કાર રેલી’ નામ આપવામાં આવ્યું હતું. 200 વધારે મોટરકારોને ભારત અને કેનેડાના રાષ્ટ્રધ્વજ વડે સુશોભિત કરવામાં આવી હતી.