ન્યૂયોર્કમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા ઘટી જતાં મોટી રાહત

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસથી ક્યારેક સૌથી વધારે પ્રભાવિત થયેલું શહેર ન્યૂયોર્ક રાજ્યમાં આ ઘાતક વાયરસથી ગયા શનિવારે માત્ર પાંચ લોકોના મોત થયા હતા. રાજ્યમાં 15 માર્ચ બાદ પછી એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની આ સંખ્યા અત્યાર સુધીની સૌથી ઓછી છે. એપ્રિલમાં વૈશ્વિક મહામારી ચરમ સીમાએ પહોંચી તે દરમિયાન કોરોના વાયરસથી એક દિવસમાં આશરે 800 લોકોના મોત થઈ રહ્યા હતા. ગવર્નર એન્ડ્રીયૂ ક્યૂમોએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, હવે અમે સામેની તરફ છીએ. રાજ્યના અધિકારીક આંકડાઓ અનુસાર કોવિડ-19 થયેલા મોતના કેસમાં ન્યૂયોર્ક હજી પણ દેશમાં સૌથી ઉપર છે કે જ્યાં અત્યાર સુધીમાં કુલ 25000 જેટલા લોકોના આ બિમારીના કારણે મોત થયા છે. આ આંકડાઓમાં એ લોકોનો સમાવેશ થતો નથી કે જેમનું મૃત્યુ આ બિમારીના કારણે થયાની આશંકા છે.

આ વચ્ચે 900 થી ઓછા દર્દીઓને કોવિડ-19 ને લઈને શનિવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે એપ્રિલમાં આ સંખ્યા 18000 થી પણ વધારે હતી. ગવર્નરે ચેતવણી આપતા કહ્યું હતું કે, ન્યૂયોર્કવાસી જો સાવચેતી નહી રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરવા સંબંધિત તકેદારીઓ નહી રાખે તો આ સંખ્યા વધી શકે છે.