ગુજરાતની NCC કન્યા કેડેટ્સની 32 દિવસમાં 3232 કિલોમીટરની સાઇકલ રેલી

અમદાવાદ : ગુજરાતની NCC કન્યા કેડેટ્સની 32 દિવસમાં 3232 કિલોમીટરની કન્યાકુમારીથી દિલ્હી સુધીની “મહિલા શક્તિ કા અભેદ્ય સફર” સાઇકલ રેલી ઉભરતા ભારત અને વાઇબ્રન્ટ ગુજરાતની નારી શક્તિને ઉજાગર કરે છે. નારી શક્તિને પ્રેરણા આપતા દેવી પાર્વતીના નિવાસસ્થાન ગણાતા ભારતના દક્ષિણ છેડા એટલે કે કન્યાકુમારીથી 08 ડિસેમ્બર 2023ના રોજ આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થઇ ચૂકી છે. તેઓ અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની પોતાની ભૂમિમાં પહોંચ્યા છે. અહીંથી આગળ તેઓ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી તરફ આગળ વધશે.

PM મોદી દ્વારા ટીમને ફ્લેગ બતાવીને આવકારવામાં આવશે

27 જાન્યુઆરી 2024ના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટીમને ફ્લેગ બતાવીને આવકારવામાં આવશે. એ જાણીને આનંદ થાય છે કે આ રેલીમાં સાહસ ઉપરાંત આ ટીમ જ્યાંથી પણ પસાર થાય છે તે ગામડાઓ અને નગરોમાં શેરી શો, નુક્કડ નાટકો અને લોકો સાથે સંવાદ યોજીને સામાજિક ચેતના જગાડવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. મેગા સાઇક્લોથોન ટીમને 06 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદ ખાતે ભારતીય ટીમના પેરા સાઇકલિસ્ટ સુશ્રી ગીતા એસ. રાવે ઝંડી બતાવીને આવકારી હતી.

2009માં જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ સામે લડતી વખતે વીરગતિને પ્રાપ્ત થયા હતા તેવા શૌર્યવાન અને ભૂમિના સપુત મેજર ઋષિકેશ રામાણીને પણ આ અવસરે યાદ કરવામાં આવ્યા હતા. તેમના પિતા વલ્લભભાઇ રામાણી અને માતા ગીતાબેન રામાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. 08 જાન્યુઆરી 2024ના રોજ, ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવન ખાતે ટીમ સાથે સંવાદ કરશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ કેડેટ્સને તેમની આગળની યાત્રા માટે વિદાય આપશે.