ભૂજ: રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ યુનાઈટેડ નેશન્સ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મંગળવારે એક ખાસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાં ભવિષ્યલક્ષી તૈયારીઓ માટે સાહસિક તેમજ પરિવર્તનકારી પગલાંની માગ કરાઈ હતી. ‘અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન- એ મલ્ટિ-હેઝાર્ડ, મલ્ટિ-સ્ટેકહોલ્ડર્સ એપ્રોચઃ એક્સપિરિયન્સીસ, લર્નિંગ્સ એન્ડ શેરિંગ’ નામની આ પરિષદમાં ભારતની અંદર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું સ્તર ઊંચુ લાવવા જ્ઞાનની વહેંચણી અને અગત્યની ચર્ચા યોજાઈ હતી.રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતમાં યુએન દ્વારા ડિઝાસ્ટર રિસ્કમાં ઘટાડા માટે પ્રાદેશિક સ્તરે મળેલા બોધપાઠ તેમજ નવતર ઉપાયોની માવજત કરવા ભાગીદારી સાધવામાં આવી છે. આ ભાગીદારીના ભાગરૂપે, શ્રેણીબદ્ધ પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી અર્લી વોર્નિંગ સિસ્ટમ અને અર્લી એક્શનને વિસ્તારવાની સાથે, અનેકવિધ-હોનારતો માટે સ્થાનિકીકૃત અને ક્ષેત્ર-આધારિત અભિગમ દાખવતા ચેતવણીને જીવન-બચાવનારાં અસરકારક પગલાંમાં તબદિલ કરી શકાય.
આ શ્રેણીમાંની બીજી પરિષદનું ભૂજમાં સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ખાતે આયોજન કરાયું હતું. આ એક એવું શહેર છે જેણે વિનાશકારી ભૂકંપો અને વાવાઝોડાંના અનેક પ્રહારોનો સામી છાતીએ સામનો કર્યો છે અને છતાં અડીખમ રહેવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવીને આ પરિષદની ચર્ચા માટેની વિષય પ્રસ્તુતિ કરી હતી.
આ અંગેના પ્રાસંગિક ઉદબોધનમાં, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ, ડો. જયંતી રવિએ વર્તમાન પેઢી તેમજ આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને સાહસિક પગલાં ભરવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કચ્છે વિનાશકારી ભૂકંપથી માંડીને વાવાઝોડાં તથા પૂરની અસંખ્ય હોનારતોનો સામનો કર્યો છે. પરંતુ આ ધરતીની સંસ્કૃતિ જ કાંઈક અલગ છે અને તેમાં પણ કચ્છના લોકો તો મુસીબતો સામે હંમેશા લડાયક મિજાજ દાખવવા માટે જાણીતા છે. આ સ્થળ, સ્મૃતિવન બે ડગલાં આગળ વધીને અનેકવિધ હોનારતો સામેની તૈયારી, આયોજન અને તાલીમનું કેન્દ્ર બને તેમ ઈચ્છીએ છીએ, જેથી લોકોમાં સામાજિક અને વર્તણૂંકમાં પરિવર્તન આવી શકે. આ જ એ પરિકલ્પના છે કે જેને સાકાર કરતાં આપણે ‘સ્મૃતિવન-2’નો હિસ્સો બની શકીએ છીએ.”
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના CEO અનુપમ આનંદે સેન્ડાઈ ફ્રેમવર્ક તથા DRR માટે PMના 10-મુદ્દાના એજન્ડાના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે ગુજરાતે અનેકવિધ-વિભાગીય સંકલન દ્વારા રાજ્ય-સ્તરની યોજનાઓને રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અમલી બનાવવાની દિશામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ઉદારણ સ્વરૂપે, બિપરજોય વાવાઝોડાંના સમયે વિવિધ વિભાગોએ અસરકારક સંકલન સાધીને ઝીરો કેઝ્યુલ્ટી અને મામૂલી આર્થિક નુકસાનને સુનિશ્ચિત કર્યું હતું.
ભારત ખાતેના યુએન રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર, શોમ્બી શાર્પે જણાવ્યું હતું કે, “કુદરતી હોનારતો તેમજ અત્યંત વિષમ હવામાનને કારણે 2050 સુધીમાં વૈશ્વિક સ્તરે 1.2 અબજ લોકોનું વિસ્થાપન થઈ શકે છે. જો કે, હોનારતનું જોખમ એ ફક્ત તેના પ્રકાર વિશે સિમિત્ત નથી, તેમાં તેનો સામનો કરવા માટેની તૈયારીઓ, તેમજ અર્લી વોર્નિંગ અર્લી એક્શનની ઝડપ તથા અસરકારકતા પણ સામેલ છે. આજની પરિષદ એ રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતમાં યુ.એન. વચ્ચેની બૃહદ ભાગીદારીનો એક હિસ્સો છે. જે જળવાયુ પરિવર્તનની આપણી નવી વાસ્તવિકતામાં અપેક્ષિત પગલાં માટેના અનેકવિધ-હોનારતો, અનેકવિધ-હિતધારકોના અભિગમને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ ચર્ચા ગુજરાતમાં થઈ રહી છે તે સર્વથા યોગ્ય છે, કારણ કે આ એક એવું રાજ્ય છે જ્યાં યુએન એક અડીખમ ભાગીદાર તરીકે મોજૂદ રહ્યું છે અને તેણે પણ અસંખ્ય કુદરતી હોનારતોનો સામનો કર્યો છે.
રિલાયન્સ ફાઉન્ડેશન ખાતેના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર, સુદર્શન સૂચિએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે, અમે સમજીએ છીએ કે ખરા અર્થમાં ડિઝાસ્ટર પ્રતિરોધકતાના નિર્માણ માટે સહિયારા પ્રયાસોની જરૂર પડે છે. આ પ્રકારની શ્રેણીબદ્ધ પરિષદો યોજીને અમે તમામ ક્ષેત્રોમાં સહકાર સાધવાની અમારી વચનબદ્ધતા પર ભાર મૂકીએ છીએ. અમારો ઉદ્દેશ ટેકનોલોજી અને ડેટાની તાકાતનું સંવર્ધન કરીને મહત્ત્વના જ્ઞાન અને નવતર ઉપાયોની વહેંચણી માટે ઉમદા મંચની રચના કરવાનો છે, જેથી આપણે ભાવિ પડકારોને ઝીલવા માટે નબળા સમુદાયોને સશક્ત બનાવી શકીએ. ભૂજના ભૂકંપથી લઈને બિપરજોય સુધી રિલાયન્સ દરેક વળાંકે ગુજરાત સરકારની પડખે જ રહ્યું છે. નવતર પ્રયોગોથી માંડીને સામુદાયિક જોડાણ સુધી, ત્વરિત પગલાંથી માંડીને મજબૂત ભાગીદારી સુધી, આપણા તમામ પગલાંનું રિલાયન્સની સર્વથા વ્યાપક ‘વી કેર’ ફિલોસોફી દ્વારા માર્ગદર્શન કરાય છે.”આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં કચ્છના જિલ્લા કલેક્ટર, IAS આનંદ બાબુલાલ પટેલ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના લેફ્ટ. કર્નલ સંજીવકુમાર શાહીનો સમાવેશ થતો હતો. ગુજરાત સરકાર, NDMA, GSDMA, GIDM, UN એજન્સીઓ, સિવિલ સોસાયટી સંગઠનોના પ્રતિનિધિઓએ અહીં પ્રાપ્ત થયેલા જ્ઞાન અને ઉપાયોની વહેંચણી કરી હતી. અગાઉના દિવસે આ પ્રતિનિધિઓ માટે રાપરગઢ અને જખૌ ખાતેની ફિલ્ડ મુલાકાત ઉપરાંત આ ઈવેન્ટ દરમિયાન સ્મૃતિવનમાં એક સુઆયોજિત લટારનું આયોજન કરાયું હતું. જેમાં આરંભિક સ્થાનિકીકૃત પગલાં પર ભાર મૂકાયો હતો.
અગાઉની પરિષદ નવેમ્બર 2014માં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ હતી, જેમાં આજીવિકા તેમજ જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરકારી પ્રત્યુત્તર પર ભાર મૂકાયો હતો. ભૂજની પરિષદ એક ડગલું આગળ વધીને અનેકવિધ-સેક્ટર વચ્ચે સંકલન તેમજ ટેકનોલોજીની ઊંડી સમજની હાકલ કરવાની દિશામાંનું વધુ એક આગેકદમ હતું.
