HDFC બેંક પરિવર્તન વર્ષ 2025 સુધીમાં 1000 ગામોનું સશક્તીકરણ કરશે

અમદાવાદઃ વિશ્વમાં 21 એપ્રિલ, 2025એ અર્થ ડે-2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે HDFC બેંકે આ નિમિત્તે તેની પ્રમુખ CSR પહેલ ‘પરિવર્તન’ હેઠળ એક નોંધપાત્ર સીમાચિહ્નને જાહેર કરીને સ્થાયી પ્રગતિ સાધવા માટેની તેની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે. બેંક વર્ષ 2025 સુધીમાં ભારતનાં 1000 ગામોમાં સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સમાધાનોને સુલભ બનાવી સૌર ઊર્જાથી સંચાલિત થતાં નવીન પ્રકારના આંતરમાળખા, જાગૃતિ અને સ્થાનિક સહભાગીદારીઓ મારફતે ગ્રામ્ય અને અર્ધ-શહેરી સમુદાયોનું સશક્તીકરણ કરશે.

કુદરતી સંસાધનોના મેનેજમેન્ટના સ્તંભ હેઠળ HDFC બેંક પરિવર્તને 22 રાજ્યોમાં 61,655 સોલર સ્ટ્રીટલાઇટને ઇન્સ્ટોલ કરી છે. સ્ટ્રીટલાઇટ ઉપરાંત, પરિવર્તન કાર્યક્રમ હેઠળ સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં સોલર પેનલો ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે, જેથી કરીને અવિરત વીજ પુરવઠો મળી રહે તેની ખાતરી કરી શકાય. તેણે બીજી ઘણી શ્રેણીબદ્ધ સોલર પહેલ પણ લોન્ચ કરી છે, જે રસ્તા પર સલામતીથી માંડીને પીવાના પાણી, ખેતી, ફૂડ પ્રોસેસિંગ અને આજીવિકાને વધારવા સુધી ગ્રામ્ય જીવનને ઉન્નત બનાવી રહી છે.

HDFC બેંકે સોલર શિક્ષા વિકસાવી છે, જે ભારતના અર્ધ-શહેરી વિસ્તારોમાં સૌર ઊર્જાને અપનાવવાના સંબંધમાં રહેલી ખોટી માન્યતાઓને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવેલી જાગૃતિ પહેલ છે.

અત્યાર સુધીમાં ગોવા, કર્ણાટક, હરિયાણા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગણા અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં 90થી વધારે જાગૃતિ વર્કશોપ યોજીને 450થી વધારે સમુદાયોમાં 3000થી વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ શાળાઓ, જાહેર હોસ્પિટલો, અનાથાશ્રમો, કૃષિ ગ્રુપો અને વૃદ્ધાશ્રમો સુધી પહોંચ્યો છે, જે એવી જગ્યાઓ છે જ્યાં સોલર જીવનની ગુણવત્તાને સીધી સુધારી શકે તેમ છે. તેમાં સોલર પમ્પ, પેનલો, કૂકર, સ્ટવ, સ્ટ્રીટલાઇટ અને વોટર હીટર સહિતનાં સોલર સમાધાનોની વ્યાપક રેન્જને અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

પોતાની પહેલ અંગે વાત કરતાં HDFC બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર  કૈઝાદ ભરૂચાએ જણાવ્યું હતું કે HDFC બેંકમાં અમારું માનવું છે કે સ્થાયી ભવિષ્ય સમાવેશી વિકાસમાં રહેલું છે. પરિવર્તન હેઠળની અમારી સૌર ઊર્જાની વિવિધ પહેલની રચના તકો સર્જવાની સાથે શેરીઓ અને ઘરોને પ્રકાશિત કરીને વાસ્તવિક, નોંધપાત્ર પરિવર્તન લાવવા માટે થઈ છે.

HDFC બેંકના કોર્પોરેટ સોશિયલ રિન્સિબિલિટીનાં હેડ નુસરત પઠાણે જણાવ્યું હતું કે અમે એ વાત સ્વીકારીએ છીએ કે સૌર ઊર્જાનું લોકશાહીકરણ એ ટેકનોલોજીને કામે લગાડવા કરતાં પણ વધારે જરૂરી છે. અમારી કટિબદ્ધતા આંતરમાળખાનાં વિકાસ પૂરતી મર્યાદિત નથી અને તે લાંબા ગાળા સુધી સમુદાયના નેતૃત્વમાં ઊર્જા સ્વતંત્રતાને શક્ય બનાવે તેવા જ્ઞાન પર આધારિત ફ્રેમવર્કની રચના કરવા પર કેન્દ્રિત છે.

સૌર ઊર્જાના કેટલાક નવીન પ્રોજેક્ટ્સમાં કાર્યક્ષમ રીતે સિંચાઈ કરવા માટેના પોર્ટેબલ સોલર પમ્પ, સૌર ઊર્જાથી ચાલતી વોટર સપ્લાય સિસ્ટમ, સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપનારા સૌર ઊર્જાથી સંચાલિત થતાં ફૂડ પ્રોસેસિંગ એકમો તથા પ્રવાસનમાંથી થતી આવકને વધારવા માટે હોમસ્ટેમાં સોલર હીટરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સમગ્ર દેશમાં વિવિધ ઉપયોગોમાં સૌર ઊર્જાની બહુમુખી અને ક્રાંતિકારી ક્ષમતાને દર્શાવે છે.