ગુજકેટ પરીક્ષાની તારીખ બદલાઈ, 02/04/2024 ના બદલે 31/03/2024ના રોજ લેવાશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર વર્ષ 2024 માટે ગુજકેટની પરીક્ષા તારીખ 02/04/2024 ના મંગળવારના રોજ યોજાવાની હતી. પરંતુ વિભાગ દ્વારા આ પરીક્ષા માટેની તારીખ બદલવામાં આવી છે.

 

શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

શિક્ષણ વિભાગે કરેલા એક પરિપત્ર પ્રમાણે વર્ષ 2024 માટે ગુજકેટની પરીક્ષા તારીખ 02/04/2024 ના મંગળવારના રોજ યોજાવાની હતી પરંતુ આ દિવસે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટની પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે. હવે ગુજકેટની પરીક્ષા 31 માર્ચ 2024ના રોજ લેવાશે. શિક્ષણ વિભાગે સ્કૂલોના આચાર્યો અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓને એક પરિપત્ર દ્વારા જાણ કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૪ ની પરીક્ષા માટે રહેશે. ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે.