મુખ્યમંત્રીની દાનની અપીલને બહોળો પ્રતિસાદ

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આ રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ 80-જી હેઠળ કરમુકિતને પાત્ર છે. મુખ્યમંત્રીના સચિવ શ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાના વ્યકિતગત રૂ. ૧ લાખની સહાય આ ફાળામાં આપી છે.

હવે કોરોના સામેના આ મહાયુદ્ધમાં ગુજરાતના મંદિરો પણ આગળ આવ્યા છે. અંબાજી મંદિર અને સોમનાથ મંદિર દ્વારા 1-1 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસની મહામારીને લઈ સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સોમનાથ મહાદેહ મંદિર ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવશે. લોકોની સુખાકારીને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ અંબાજી મંદિર દ્વારા પણ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં 1 કરોડ 1 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તો સંકટના આ સમયમાં માનવતા પણ મહેકી ઉઠી છે. મંદિરો દ્વારા દાન તો વહાવવામાં આવી જ રહ્યું છે પણ સાથે જ વતનની વાટે નીકળેલાં શ્રમિકો માટે પણ ફૂડ પેકેટ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

ત્યારે સંકટના આ સમયમાં માણસ બીજા માણસની સહાયમાં આગળ આવી રહ્યો છે. અને કોરોના સામેની જંગ જીતવા માટે તમે પણ સીએમ રાહતનિધિ ફંડમાં દાન કરી શકો છો. અને આ દાન કરવાથી તમને ઈન્કમટેક્સમાં પણ રાહત આપવામાં આવશે.

  • મોરારી બાપુ                          – 10 કરોડ
  • બગદાણા આશ્રમ                     – 51 લાખ
  • પરબ આશ્રમ                          – 101 લાખ
  • સતાધાર આશ્રમ                      – 11 લાખ
  • વીરપુર જલીયાણ જોગી ટ્રસ્ટ       – 501 લાખ રુપિયા
  • વલકુબાપુ આશ્રમ તરફથી          -5 લાખ