અમદાવાદમાં ઠેર-ઠેર રખડતાં ઢોરોનો ત્રાસ

અમદાવાદઃ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ વધતો જાય છે. પોળો, સોસાયટી અને  જાહેર માર્ગો પર કોઈ પણ સમયે રખડતાં ઢોરને કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. આ રખડતી ગાયો, બેકાબૂ આખલા કે કૂતરાને કંટ્રોલ કરવા પૂરતાં પ્રમાણમાં સાધનો અને આયોજનનો સદંતર અભાવ જોવા મળે છે.

સ્માર્ટ સિટી બનાવવા શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. BRTS, રિવરફ્રન્ટ, મેટ્રો ટ્રેન અને  ફ્લાયઓવર્સ જેવી અનેક યોજનાઓ માટે નિરંતર કામ ચાલ્યા જ કરે છે. બીજી તરફ  હેપ્પી સ્ટ્રીટ,  સી. જી. રોડ જેવા માર્ગો તૈયાર કરવામાં રૂપિયાના ધુમાડા થાય છે, પરંતુ આજે આધુનિક સી. જી. રોડ, એસ. જી.રોડ અને શહેરના નવા વિકસેલા કે જૂના વિસ્તારોમાં રખડતાં ઢોરના નિયંત્રણ માટે કોર્પોરેશન પાસે કોઈ ચોક્કસ આયોજન નથી.

વળી, આ રખડતાં ઢોરોને કારણે અનેક લોકોના અકસ્માત થાય છે. ક્યારેય સ્થાપિત હિતો સામે પગલાં લેવામાં આવતાં નથી. આજે ચોતરફ સતત વિકસતા  શહેરમાં રખડતાં ઢોરને કાબૂમાં લેવા માટે સાધનો અને સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે. રખડતાં ઢોર પકડતાં વાહનો અને સ્ટાફ પર હુમલાના બનાવો પણ વધતા જાય છે. AMCની રખડતાં-ભટકતાં ઢોર પકડવાની ગાડી જે વિસ્તારોમાંથી પસાર થાય છે, એની થોડી જ મિનિટો પછી પશુઓને માર્ગો પર છોડી મૂકવામાં આવે છે.

વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પામેલા અમદાવાદ શહેરમાં ફ્લાવર પાર્ક જેવા બ્યુટીફિકેશન વાળા પ્રોજેક્ટ ની સાથે રખડતાં ઢોરના નિયંત્રણ માટે પણ મજબુત પ્રોજેક્ટ ની જરૂર છે, કારણ કે માર્ગો ગમાણમાં ફેરવાઈ રહ્યા છે . દરેક વિસ્તારોના માર્ગો પર અસંખ્ય લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)