અમદાવાદ: દેશભરમાં કથળતી લાઈફસ્ટાઈલ અને બિનઆરોગ્યપદ ખાણીપણીથી લોકોને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યા છે. પાછલા ઘણા સયમથી લોકોમાં હાર્ટ લગતી બિમારીઓ વધી રહી છે. અમદાવાદમાં એક અઠવાડિયામાં ત્રણ પોલીસનું હાર્ટ એટેકથી મોત થવાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને 10 માર્ચે વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો હતો. જોકે, તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનુ મોત નિપજ્યુ હતુ.
ચોંકાવનારી વાત તો એ છે કે પાછલા અઠવાડિયામાં આ પ્રકારની ત્રીજી ઘટના છે. જેમાં પોલીસનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આ અગાઉ 7 માર્ચે અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા PI આર. એલ. ખરાડીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પીઆઈ ખરાડી હાલ DG ઓફિસમાં કાર્યરત હતાં તે દરમિયાન અચાનક હાર્ટ અટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં મોતને ભેટ્યા હતાં. આ પહેલા 3 માર્ચ પણ અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
