સાયન્સ સિટીમાં ચોથી ઓક્ટોથી સોમવારે સાપ્તાહિક રજા રહેશે

અમદાવાદઃ રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ ગુજરાત સાયન્સ સિટી રાજ્યમાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે બહોળા પ્રમાણમાં વિજ્ઞાન શિક્ષણ, વિજ્ઞાન પ્રસાર અને વિજ્ઞાન ટુરિઝમના સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. વળી, પ્રારંભથી જ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટે 365 દિવસ રજા વગર હંમેશા ખુલ્લુ રહ્યું છે, પણ હવે જાળવણી અને મરામત કરવા માટે સાયન્સ સિટી સપ્તાહમાં એક દિવસ સોમવારે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે.  

કોરોના રોગચાળા પછી નવી એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચર પાર્ક જેવાં આકર્ષણો સાથે 17 જુલાઈ, 2021થી ફરી શરૂ થયું ત્યારથી ગુજરાત સાયન્સ સિટીને દેશભરમાંથી મુલાકાતીઓનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

એકવેટિક ગેલેરીમાં વિશાળ સંખ્યામાં વિવિધ માછલીઓ અને જળચર પ્રજાતિઓ સાથે અત્યાધુનિક લાઇફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ એક્વેરિયમ તથા અન્ય થિમ આધારિત પેવેલિયન નિયમિત મેઇનટેનન્સ માગી લે છે. સપ્તાહના અંતમાં ગેલેરીઓમાં મુલાકાતીઓના ભારે ધસારા બાદ નિયમિત દેખરેખ માટે તમામ  રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સાયન્સ સેન્ટર્સ, સાયન્સ મ્યુઝિયમો અને પબ્લિક પાર્કની સાથે જાળવણીની દ્રષ્ટિએ સાયન્સ સિટી દર સોમવારે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત બાબતને ધ્યાનમાં રાખીને જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે કે ગુજરાત સાયન્સ સિટી ચોથી ઓક્ટોબર, 2021થી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે, જે વિવિધ નિદર્શનો, સાધનો, મશીનરી તથા કેમ્પસમાં વિવિધ પેવેલિયનોમાં રહેલા લાઇવસ્ટોકની અવિરત કાર્યક્ષમતામાં વધારો કરશે.