રોટરેક્ટ કલબનું ગણેશોત્સવ નિમિત્તે ચેકઅપ, રસીકરણનું આયોજન

અમદાવાદઃ ભગવાન ગણેશ આરોગ્ય અને કલ્યાણના પ્રતીક છે. આથી ગણેશોત્સવને ઊજવવા માટે આરોગ્યમાં અને કલ્યાણમાં સુધારાથી વધુ સારી બીજી કઈ બાબત હોઈ શકે. રોટરેક્ટ કલબ ઓફ અમદાવાદ-વાસણાએ એસએમએસ, હોસ્પિટલ, વાસણા અને રોટરી કલબ ઓફ અમદાવાદ નોર્થના સહયોગથી 11થી 18 સપ્ટેમ્બર ગણેશોત્સવને ઊજવવા માટે એક મેડિકલ ચેકઅપ કેમ્પ અને રસીકરણ ઝુંબેશનુ આયોજન કર્યું છે.

આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં બાળ રોગો, ગાયનેક, ડેન્ટલ, ઈએનટી, કાર્ડિયો, જનરલ, ઓર્થોપેડિક, સ્પાઇનલ અને ન્યુરોલોજી જેવી તબીબી તપાસને આવરી લેવામાં આવી રહી છે. આ પ્રયાસના ભાગ તરીકે એક રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોટરેકટ કલબ ઓફ-અમદાવાદ-વાસણા જરૂરિયાત ધરાવતા દર્દીઓની વધુ સારવાર માટે પણ ગોઠવણ કરશે.

આ પ્રયાસને રોટરેક્ટ નેતૃત્વ, વિવિધ રોટરી કલબો, સામાજિક અને રાજકીય મહાનુભવો,  અને જિગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, ઈશાની દવે, અરવિંદ વેગડા, અને હેમાંગ દવે વગેરે પ્રસિદ્ધ સેલિબ્રિટીઝનો પણ સહયોગ હાંસલ થયો છે.

કલબની યુથ કમિટીએ કોવિડ19 દરમ્યાન માતા-પિતા ગુમાવનાર 50થી વધુ બાળકોને સહયોગ પૂરો પાડ્યો છે અને એ આ પ્રકારનાં વધુ બાળકોને સહાય કરવા માટે આશાવાદી છે. આ કેમ્પના હિસ્સા તરીકે 300 જેટલાં બાળકોને શૈક્ષણિક સામગ્રી અને સ્ટેશનરીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવના આઠ દિવસના પ્રયાસને અંતે 11,000થી વધુ લાભાર્થી આ શિબિરનો લાભ લેશે તેવી અપેક્ષા છે.