અસંગઠિત ક્ષેત્રના કામદારોનું રજિસ્ટ્રેશન કરવા પોર્ટલ, મોબાઇલ-એપ લોન્ચ

અમદાવાદઃ રાજ્ય સરકારે મંગળવારે અસંગઠિત ક્ષેત્રના કામદારોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે સ્માર્ટકાર્ડ આપવા ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા માટે એક વેબપોર્ટલ અને એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી.

સરકારે એ જાહેરાતમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દ્વારા ઈ-નિર્માણ પોર્ટલ અને એની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના 9.20 લાખ કર્મચારીઓ પહેલેથી રજિસ્ટર્ડ હતા અને તેમને U-WIN કાર્ડ આપવામાં આવ્યાં છે.

મુખ્ય પ્રધાન રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કામદારોએ રજિસ્ટ્રેશન માટે દિવસનું કામ છોડીને જવું પડતું હોય છે, એટલે રાજ્ય સરકારે એને ઓનલાઇન પ્લેટફોર્મ પર લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો. કામદારોની પાસે હવે એ ઓનલાઇન પ્લેટફોર્મ અથવા વ્યક્તિગત કોમન સર્વિસ સેન્ટરે વ્યક્તિગત જઈને રજિસ્ટ્રેશન કરાવવાનો વિકલ્પ છે.

U-WIN કાર્ડવાળા કામદાર કેટલીય સરકારી યોજનાઓનો લાભ મેળવવાને હકદાર છે, જેમ કે વીમો, હોસ્પિટલમાં દાખલ થવા મા-અમૃતમ યોજના અને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વાજબી દરે ભોજન મેળવી શકે છે, એમ યાદી જણાવે છે. અત્યાર સુધી કામદારોએ રજિસ્ટ્રેશન કરાવવા માટે 33 જિલ્લાઓની ઓફિસે મુલાકાત લેવી પડતી હતી, પણ હવે 21,000થી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં રજિસ્ટ્રેશનનું કાર્ય કરવા અને સ્માર્ટ કાર્ડ જારી કરવા માટે અધિકૃત છે, એમ જાહેરાત કહે છે. આ ઈ-નિર્માણ પોર્ટલ અને મોબાઇલ એપ સાથે સરકાર કામદારોનો ડેટાની દેખરેખ રાખી શકશે, કેમ કે એને સીધું સીએમ ડેશબોર્ડ એપ્લિકેશન સાથે જોડવામાં આવશે.