ચાર વર્ષથી નવા અન્ડરપાસના ઉદઘાટનની રાહ જોતી પ્રજા

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વિસ્તારને જોડતો અન્ડરપાસ છેલ્લાં ચાર વર્ષથી તૈયાર થઈ ગયો છે. ચાંદલોડિયા, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારમાં સરળતાથી જઈ શકાય એ માટે હજારો શ્રમિકો, અહીંના રહેવાસીઓ કાગડોળે નવા અન્ડરપાસના ઉદઘાટનની રાહ જોઈ રહ્યા છે, કેમ કે સામાન્ય જનતાને એની બાજુમાં આવેલા નાના ગરનાળામાંથી અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. બે વિસ્તારોને જોડતા આ નાનકડા ગરનાળામાં વરસાદનું થોડું પાણી પડતાની સાથે જ માર્ગ બંધ થઈ જાય છે. વરસાદના પાણી ના નિકાલ માટે AMC દ્વારા મશીન મૂકવામાં આવે છે.

પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારને જોડતું રેલવેનું એક ગરનાળું આવેલું છે. આ વિસ્તારમાં રહેતા લોકોને નાનકડા ગરનાળામાં જતા-આવતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વિસ્તારોની વધતી વિશાળતાને લીધે  ટ્રાફિક-જામની સમસ્યા સર્જાય છે, જ્યારે સૌથી મહત્વની વાત એ છે કે નવો અંડરપાસ છેલ્લાં ચાર વર્ષ કરતાંય વધારે સમયથી તૈયાર થઈ ગયો છે,  આ વિસ્તારમાંથી પસાર થતા લોકો આ અંડરપાસના ઉદઘાટનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

(જૂના ગરનાળાની તસવીર)

આ નવો અન્ડરપાસ મોટા રાજકીય આગેવાનો દ્વારા ઉદઘાટનની રાહ જોઈ રહ્યો છે, પણ રાજકીય આગેવાનો આના ઉદઘાટન માટે સમય નથી ફાળવતા, એટલે સામાન્ય જનતા ત્રાહિ મામ પોકારી ગઈ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)