કચ્છનાં 20 જળાશયોમાં 22 ટકા જ પાણીઃ જળ કટોકટીનાં એંધાણ

ભૂજઃ કચ્છ જિલ્લાનાં જળાશયો અને ડેમો નર્મદાના વધારાના વરસાદી પાણીથી ભરવા તેમ જ ઉદ્યોગોને નર્મદાના પાણીને બદલે ડ્રેનેજ વોટરને શુદ્ધીકરણ કરી તે પાણી અપાય તેવી મુખ્ય પ્રધાન સમક્ષ માગ કરવામાં આવી હતી. જોકે કચ્છમાં વધારાના નર્મદાના પાણી આપવાની યોજનાને વહીવટી મંજૂરી આપવામાં છે, પણ હાલના તબક્કે રાજયમાં સૌથી ઓછું પાણી કચ્છ જિલ્લામાં છે. જિલ્લાનાં મુખ્ય 20 જળાશયોમાં અત્યારે માત્ર 22 ટકા જ પાણી છે જેથી આગામી ઉનાળામાં જળ કટોકટી સર્જાવાનાં એંધાણ છે.

હાલમાં શિયાળે કચ્છના 20 મધ્યમ કક્ષાના ડેમોમાં માત્ર 22.32 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. નવ ડેમમાં તો 20 ટકા કરતાં પણ ઓછો પાણીનો જથ્થો છે. કચ્છના ડેમોમાં 332 મિલિયન ક્યુબિક મીટરની સંગ્રહ શક્તિ સામે હાલ માત્ર 74.17 મિલિયન ક્યુબિક મીટર પાણી બચ્યું છે.

જોકે એક વર્ષ પહેલાં આ જ સમયગાળામાં કચ્છના ડેમોમાં 196 મિલિયન ક્યુબિક મીટર પાણી હતું. આમ ગયા વર્ષની તુલનાએ હાલ કચ્છના ડેમોમાં 122 ટકા પાણીની ઘટ છે. વળી, ગાંધીધામને પાણી જે ટપ્પર ડેમમાંથી અપાય છે તેમાં પણ હવે માત્ર 11.90 ટકા પાણી બચ્યું છે.

કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમમાં પણ હવે ખૂબ ઓછું પાણી છે. ડેમમાં પાણીનો જથ્થો નથી. એ જ રીતે ગજણસર ડેમ પણ તળિયા ઝાટક છે. આ ડેમમાં પણ પાણીનો સ્ટોક નથી ત્યારે આ વખતે ઉનાળો કપરો સાબિત થાય એમ છે.