નોબેલ વિજેતા કૈલાશ સત્યાર્થી 15મીએ અમદાવાદ આવશે

અમદાવાદ: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી ગુજરાતની પરોપકાર-સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા સોશિયલ વેન્ચર પાર્ટનર્સ ઇન્ડિયા (SVP ઇન્ડિયા)ની પાંચમી-વર્ષગાંઠની ઉજવણીમાં અતિથિ વિશેષ બનશે.

SVP ઇન્ડિયાની પાંચમી વર્ષગાંઠ 15 ડિસેમ્બરે (શુક્રવારે) ઊજવવામાં આવશે, જેમાં ગુજરાત અને દેશમાંથી 200થી વધુ પ્રતિબદ્ધ અને પરોપકાર સાથે જોડાયેલા લોકોને એક મંચ પર લાવશે, જે ખાસ કરીને સત્યાર્થી સાથે જોડાવાની અને તેમની નોંધપાત્ર સફરમાંથી પ્રેરણા મેળવવાની અનન્ય તક પ્રદાન કરશે.

SVP અમદાવાદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ માઇલસ્ટોન સેલિબ્રેશન માટે કૈલાશ સત્યાર્થી અમારી સાથે જોડાશે, એ અમારા માટે ગર્વની વાત છે. દયાભાવ સાથે સમુદાયોને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા SVP ઇન્ડિયાનાં મુખ્ય મૂલ્યો અને મિશન સાથે સંપૂર્ણ રીતે મળતાં આવે છે, જે પરોપકારી ઇકોસિસ્ટમને વાર્તાઓ દ્વારા અનુભવો પ્રદાન કરશે તેમ જ NGO સાથે જોડાઈ અસરકારક અને સહયોગી સમાજના નિર્માણને મંજૂરી આપશે.

 આ ઈવેન્ટ પરોપકાર, સ્ટ્રેટેજિક દાન, અર્થપૂર્ણ સમાજની અસર સંબંધિત પાસાંઓને આવરી લેશે. SVP ઈન્ડિયા એ 550થી વધુ પરોપકારીઓ, આંત્રપ્રિન્યોર્સ, એક્ઝિક્યુટિવ્સ, શિક્ષણવિદો અને હોમમેકર્સ સાથે જોડાયેલી પરોપકારી સંસ્થા છે. જે દેશનાં આઠ શહેરોમાં વિસ્તરેલી છે. તે NGO સાથે જોડાવા માટે વ્યૂહાત્મક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. અમદાવાદ અને સુરતમાંથી SVPના 43 પાર્ટનર્સે છેલ્લાં પાંચ વર્ષમાં NGOને માર્ગદર્શન આપવા માટે 5000+ કલાકનો સ્વૈચ્છિક સમય ફાળવ્યો છે. દેશભરમાં સંસ્થાએ 120 NGO સાથે કામ કર્યું છે. તેણે રૂ. 7 કરોડના ઝડપી ફંડિંગ સાથે કુલ રૂ. 25 કરોડથી વધુ મૂડીની ફાળવણી કરી છે. તેના ભાગીદારોએ પણ પોતાના સમય અને કુશળતાના 25,000 કલાકથી વધુનું યોગદાન આપ્યું છે.