નરેશ કનોડિયાના અવસાનની ખોટી અફવા ફેલાઈ

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના એક સમયના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ થયા બાદ તેમની અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. પરંતુ, એમનું અવસાન થયાનો એક સંદેશ વોટ્સએપ પર રિલીઝ થતાં જ એ વાઇરલ થયો હતો. સોશિયલ મિડિયામાં ફરી રહેલા આ સમાચાર સદંતર ખોટા છે. નરેશ કનોડિયાની તબિયત હાલ સ્થિર છે એવી એમના પુત્ર હિતુ કનોડિયાએ એક વિડિયો નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી.

નરેશ કનોડિયા વેન્ટિલેટર પર

નરેશ કનોડિયાની તબિયત વધુ ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. નરેશ કનોડિયાની એક તસવીર હાલ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ છે. જેમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તસવીરમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે નજરે આવી રહ્યા છે. તેમના પુત્ર અને ઈડર મતવિસ્તારના ધારાસભ્ય હિતુ કનોડિયાએ એમના પિતા નરેશ કનોડિયાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની ટ્વિટર પર પ્રશંસકોને અપીલ કરી હતી.