કોરોના વકરતાં 200થી વધુ મકાનો માઇક્રો-કન્ટેન્મેન્ટ ઝોન

અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે. કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરવા લાગ્યું છે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 11 જગ્યાઓ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે. છેલ્લા ત્રણ દિવસોમાં જ 11 જગ્યાઓનાં 200થી વધુ મકાનોને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર હેઠળ સામેલ કરવા પડ્યા છે. જેથી જાહેર થયેલા નવા માઈક્રોન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતી કાલથી સઘન અને કામગીરી હાથ ધરશે.
દેશમાં કોરોના સામે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ લોકો કોરોના રોગચાળા પરત્વે બેદરકાર બન્યા છે. અહેવાલ મુજબ ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ઝોનના જુદા-જુદા વોર્ડમાં ફરી કોરોનાના કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે.

ઉત્તર પશ્ચિમમાં શુભમ સ્કાયના 12 મકાનો, ઇસ્કોન મોલ પાછળ બોડકદેવ, સિલિકોન સ્ક્વેરના 16 મકાનો, સાયન્સ સિટી, ગોતા સહિતના વિસ્તારો. પૂર્વમાં નિકોલની નિલકંઠ સોસાયટીના 24 મકાનોમાં કેસો વધ્યા છે.
કોરોનાનો નવો સ્ટ્રેન તો અમદાવાદમાં નથી પહોંચ્યો એ રાહતની વાત છે તેમ છતાં વયસ્ક વ્યક્તિ તથા ડાયાબિટીસ સહિતની બીમારી ધરાવતા નાગરિકો માટે કોરોના જોખમકારક છે. આવા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 296 લોકોએ કોરોનાને માત આપી હતી. અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો છે. રાજ્યમાં 22 દિવસ બાદ સોમવારે કોરોનાના કેસ 300થી વધારે નવા કેસ નોંધાયા હતા.