આફતના આ સમયમાં આ ધારાસભ્ય સતત સક્રિય છે…

સુરત : સુરતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તમામ દર્દી સિવિલ હોસ્પિટલમાં આવતા અહીંની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે (આમ પણ સિવિલની વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો તો ઉઠતા જ રહે છે) ખેર, હાલ જે ફરિયાદ હતી કે કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓને પૂરતું, સારું જમવાનું સમયસર નથી મળતું. આ ફરિયાદનું નિરાકરણ સરકારી તંત્ર કરી ન શક્યું એટલે સુરતના મજુરા વિસ્તારના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ આ કામના નિરાકરણ માટેના પ્રયત્ન આદર્યા. જેમાં એમને સફળતા મળી અને પ્રતિસાદ આપ્યો સુરતની ફાઈવ સ્ટાર હોટેલ મેરિયોટએ. હવે ગઈકાલ તારીખ 21મી એપ્રિલથી સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે જમવાનું આવે છે. એવી જ રીતે શંકાસ્પદ દર્દીઓ માટે લક્ષ્મીનાથ સેવા સમિતિ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવે છે.

આવા સંકલનના કામ ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના સામેની લડાઈના પ્રથમ દિવસથી જ શરુ કર્યાં છે. હાલની સ્થિતિમાં અનેક નેતાઓ ઘરથી બહાર નીકળવાનું ટાળે છે ત્યારે હર્ષ સંઘવી સતત પોતાના મત વિસ્તાર મજુરામાં કાર્ય કરતા અને સરકારી તંત્ર અને એનજીઓ સાથે સંકલનમાં રહીને કાર્ય કરે છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટની સારવાર કરતા સ્ટાફ માટે ઇવેન્ટ મેનેજર્સના ગ્રુપ દ્વારા એક રસોડું સિવિલના કેમ્પસમાં જ શરુ કરાવ્યું છે. સિવિલના સ્ટાફ માટે કીટ અને પાણી જેવી નાની બાબતોનું ધય્ન રાખીને એમને સંકલન કર્યું છે.

ધારાસભ્ય હર્ષ સંઘવીના પ્રયત્નોને કારણ રાજસ્થાનમાં ફસાયેલા 4 માસૂમ નેપાળી બાળકો સુરત પહોંચ્યા છે. તો સુરતમાં સરોગોસીથી જન્મેલી દીકરી 18 દિવસે ખાસ વિમાન દ્વારા બેંગ્લોર એના માં–બાપ પાસે પહોચી શકી હતી. કેન્સર જેવી અસાધ્ય બીમારીના કેટલાક દર્દીઓની દવા સુરતમાં મળતી ન હતી એવા 250 જેટલા દર્દીની દવા અમદાવાદથી સુરત લાવીને એમને પહોંચાડી હતી. મજુરા વિધાનસભા વિસ્તારના કોઈ સિનિયર સિટીઝન ભૂખ્યા ન રહે એટલે એમના માટે ખાસ ટિફિન વ્યવસ્થા એમણે ગોઠવી છે. સાથે જ મજુરા મિત્ર મંડળ, ઓફિસર્સ જીમખાના, સીટી જીમખાના જેવી સંસ્થાઓની મદદથી મોટા રસોડા કાર્યરત કાર્ય છે જે 30,000થી વધુ લોકો સુધી જમવાનું પહોંચાડે છે. હર્ષ સંઘવી કહે છે અમારી તૈયારી 50,000 સુધીની છે.

હર્ષ સંઘવી કહે છે, સુરત દિલદારોનું શહેર છે અહીં સેવવા કરવાવાળા અને દાન આપનારાની કમી નથી, થોડું સંકલન કરી ખરી જરૂરિયાત અને જરૂરિયાતમંદ સુધી પહોંચે એના પ્રયત્ન વિવિધ સંસ્થા અને સરકાર વચ્ચે સંકલન કરીને કર્યા છે. બહાર રહીને અમારા ભાગે આંગળી ચિંધ્યાનું પુણ્ય આવ્યું છે.

(ફયસલ બકીલી-સુરત)