ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી નિગમ) દ્વારા આગામી ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને “મન ફાવે ત્યાં ફરો” નામની એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતનો કોઈપણ નાગરિક માત્ર 450થી 1450 રૂપિયામાં ચારથી સાત દિવસ સુધી રાજ્યના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે. આ યોજના સલામત અને આરામદાયક સફરની સાથે વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડશે.
ગુજરાતીઓને પ્રવાસનો ખૂબ શોખ હોય છે અને આ શોખને પૂરો કરવા માટે એસટી નિગમે આ યોજના રજૂ કરી છે. આ યોજના અંબાજીથી ઉમરગામ અને કચ્છથી કાઠિયાવાડ સુધીના તમામ વિસ્તારોમાં લાગુ થશે. ગુજરાતના દરેક એસટી ડેપો પર આ યોજના કાર્યરત રહેશે. ગુર્જર નગરી, એક્સપ્રેસ બસો તેમજ નોન-એસી સ્લીપર કોચમાં પણ આ યોજનાનો લાભ મળશે. આ રીતે રાજ્યના તમામ એસટી ડેપોમાંથી મુસાફરો આ સેવાનો ઉપયોગ કરી શકશે.
આ યોજના મુસાફરો માટે સસ્તી અને સુરક્ષિત સફરનું માધ્યમ બનશે તે નિશ્ચિત છે. એક જ પાસથી સમગ્ર ગુજરાતમાં ફરવાની સુવિધા મળશે. એસટી નિગમની આ યોજના હેઠળ 1450 રૂપિયામાં સાત દિવસ સુધી ગુર્જર નગરીથી લઈને સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે, જ્યારે 850 રૂપિયામાં ચાર દિવસનો પ્રવાસ શક્ય બનશે. પરિવાર સાથે મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે 450 રૂપિયામાં અડધી ટિકિટનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ યોજના ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ટેકો આપશે. આગામી સમયમાં ગુજરાતની જનતા આ યોજનાને કેટલો પ્રતિસાદ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
