વિદાય પહેલા ફરી જામ્યુ ચોમાસું, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે નવરાત્રિ બાદ હવામાન વિભાગે વરસાદ વરસાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અને આગાહી પ્રમાણે નવરાત્રિ પુરી થતાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગત 24 કલાકમાં છેલ્લા 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે બપોરે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થઇ ગયું હતું. જોકે અમરેલી, સાવરકુંડલામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકતાં ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભિતિ છે.

ગુજરાતમાં આ વર્ષે જરૂરથી વધારે વરસાદ વરસ્યો છે.રાજ્યમાં આ વર્ષે 140 ટકાથી વધુ વરસાદ નોંધાય ચૂક્યો છે. ત્યારે આજે ફરી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાય છે. શહેરના એસજી હાઇવે, પ્રહલાદ નગર, આનંદ નગર, વેજલપુર, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારો મોટા વરસાદી છાંટા પડવાનું શરૂ થયું હતું. આ ઉપરાંત વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને ભીંજવી દીધા છે ત્યારે ગોતા, સાયન્સ સિટી, ઇસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઇવેના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી ઝાપટાં પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા હજુ સોમવારે 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઈ છે. રાજ્યમાં ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે, ત્યારે 14 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે. જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.