ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ, છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી, 2025થી આપવામાં આવશે. આ નિર્ણયની જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી હતી.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, સાતમા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ માટે આ વધારો 6 ટકા રાખવામાં આવ્યો છે. આ વધારાને કારણે થનારી મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ, એટલે કે 1 જાન્યુઆરી, 2025થી 31 માર્ચ, 2025 સુધીના ત્રણ મહિનાની બાકી રકમ, એક હપ્તામાં એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના લગભગ 4.78 લાખ કર્મચારીઓ, જેમાં રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય વિભાગોના કર્મયોગીઓનો સમાવેશ થાય છે, તેમજ અંદાજે 4.81 લાખ નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો)ને મળશે. આ નિર્ણયના અમલીકરણ માટે રાજ્ય સરકાર એરિયર્સના ચુકવણી પેટે 235 કરોડ રૂપિયા અને વધારાના વાર્ષિક પગાર ભથ્થા તથા પેન્શન માટે 946 કરોડ રૂપિયાનું બજેટ ફાળવશે.

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણયને અમલમાં મૂકવા માટે નાણાં વિભાગને જરૂરી આદેશો જારી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ નિર્ણય રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના આર્થિક હિતોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવામાં આવી રહ્યું છે.