સોલાર પેનલનનું કેવી રીતે રાખશો ધ્યાન? જાણો

આજકાલ સોલાર પેનલ લગાડવાનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા કેટલાંક વર્ષોમાં પર્યાવરણની જાળવણી માટે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતના ભાગરૂપે ઘરેઘરે સોલાર પેનલનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે જાણીએ ઘરમાં લગાવેલી સોલર પેનલની સાફ સફાઈ અને કાળજી કેવી રીતે લેવી?

સોલર પેનલ અને સોલર મોડ્યુલની સફાઈ

  • સોલર પેનલ અને મોડ્યુલ પર જામેલા ધૂળના સ્તરને દૂર કરવા માટે, પેનલ્સને સમયાંતરે સોફ્ટ પાણીથી ધોવી જરૂરી છે.
  • જો મોડ્યુલમાં ગંદકી વધુ હોય અને પક્ષીના ડ્રોપિંગ્સ હોય, જેને દૂર કરવું મુશ્કેલ હોય, તો ઠંડા પાણીનો ઉપયોગ કરવો.
  • સોલર પેનલ્સને સાફ કરવા માટે બગીચાની પાઇપ/નળીનો ઉપયોગ કરી શકાય. સાથે જ સ્પન્જના ઉપયોગથી પણ સફાઈ થઈ શકે
  • પેનલ્સ ગરમ હોય ત્યારે ક્યારેય ઠંડા પાણીનો છંટકાવ કરવો જોઈએ નહીં, તેનાથી પેનલને ઘણું નુકસાન થઈ શકે છે. સવારે કે સાંજના સમય સફાઈ કરવી જોઈએ.
  • પેનલની સપાટીને સામાન્ય રીતે સ્પોન્જથી જ સાફ કરવી જોઈએ. પેનલની સપાટીને સ્ક્રેચ ના પડે તે માટે ધાતુના બ્રશથી સફાઈ ટાળવી જોઈએ.
  • પેનલની સફાઈ માટે ક્યારેય ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
  • જો પાસે સોલર પેનલ્સને સાફ કરવા માટે સમય ન હોય, તો તમે સ્વયંચાલિત ક્લીનર્સ પણ સ્થાપિત કરી શકો છો. આવા ક્લીનર્સ સ્પ્રિંકલર સિસ્ટમ્સની જેમ કામ કરે છે.

સોલર પેનલ્સની જાળવણી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સૌ પ્રથમ તો સૌર પેનલ્સને છાંયડાથી દૂર રાખો. કારણ કે જ્યારે પેનલનો અમુક ભાગ છાંયડામાં હોય ત્યારે સૂર્યપ્રકાશનું યોગ્ય અવશોષણ થઈ શકતું નથી, જેથી ઊર્જા ઉત્પાદન બિનકાર્યક્ષમ બની જાય છે. સૌર પેનલ્સના ઇન્વર્ટરમાં લીલી બત્તી લીલી બત્તી બંધ હોય કે યોગ્ય રીતે ન ચાલુ હોય તો તે મોડ્યુલમાં ખામી સૂચવે છે. સામાન્ય દિવસોમાં સૌર પેનલ્સના કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે અને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તે ચકાસવું જોઈએ. જેથી કરીને સોલાર પેનલ અને મોડ્યુલના પરફોર્મન્સ અને તેની કામગીરી યોગ્ય છે કે કેમ તેની જાણકારી મેળવી શકાય. સોલર પેનલ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવેલી પેનલ સર્વિસિંગ વિશેની તમામ માહિતી રાખી સમયાંતરે સર્વિસ કરાવવી જોઈએ.

 પેનલના ડેમેજ કે ખામીની આ રીતે કરો તપાસ

તિરાડો, ચિપ્સ, ડી-લેમિનેશન, ધુમ્મસવાળું ગ્લેઝિંગ, પાણીનું ગળતર અને વિકૃતિકરણ જેવી સંભવિત ખામીઓની જાણકારી મેળવવા માટે સમયાંતરે મોડ્યુલોનું  જાતે નિરીક્ષણ કરવું જોઈએ અથવા ટેક્નિશિયન પાસે તપાસ કરાવવી જોઇએ. જો કોઈ પેનલમાં કે ભાગમાં સ્પષ્ટ ખામી જોવા મળે તો તે પેનલ કે ભાગનું સ્થાન નોંધીને તેના ઊર્જા ઉત્પાદનનું નિરીક્ષણ કરવું જોઈએ.  જો નુકસાનને કારણે સોલર મોડ્યુલ તેના નક્કી કરેલા આઉટપુટ કરતાં ઓછું પ્રદર્શન કરે તો તેને બદલાવવું જોઈએ.

આ ઉપરાંત સોલાર મોડ્યુલના માઉન્ટિંગ ફ્રેમ્સની સમયાંતરે તપાસ કરવી જોઇએ. ફ્રેમ અને મોડ્યુલના માઉન્ટિંગ બોલ્ટ્સ રસ્ટ-ફ્રી(કાટ ન લાગ્યો હોય તેવા) છે કે કેમ અને સ્ટ્રકચર સુરક્ષિત છે કે કેમ તે ચેક કરવું જોઈએ. એટલુ જ નહીં વાયરને ઉંદર અને અન્ય જંતુઓ દ્વારા થતું ડેમેજ તપાસવા માટે જંકશન બોક્સની પણ તપાસ કરવી જોઈએ. સાથે જ ઇન્વર્ટર કે ચાર્જરની પણ બરાબર રીતે ધ્યાન રાખવું અનિવાર્ય છે. કંટ્રોલર પર ઓછામાં ઓછી ધૂળ જમા થાય એ રીતે રાખવું, સમયાંતરે સૂકા કાપડનો ઉપયોગ કરીને સંચિત ગંદકી અને ધૂળને સાફ કરવી,  એલઇડી લાઇટ જેવા તમામ સૂચકાંકો કામ કરી રહ્યા છે કે કેમ તથા આ ઇન્વર્ટર કે ચાર્જ કંટ્રોલર તરફ જતા અને આવતા વાયર છૂટા પડેલા નથી ને તે સુનિશ્ચિત કરવું જોઈએ.  સૂર્ય હોય તેવા સમયે ચાર્જ કંટ્રોલર દ્વારા સિસ્ટમ ચાર્જ થઈ રહી છે કે કેમ તે પણ ચેક કરવું જોઈએ.

વાયરિંગ અને જોડાણો બાબતે પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં ખાસ કરીને ઇન્સ્યુલેશનમાં કોઈપણ તિરાડો, તૂટેલા ભાગો અથવા અન્ય ખરાબી માટે વાયરિંગ ઇન્સ્ટોલેશન્સની નિયમિત તપાસ કરાવવી, બૉક્સમાં ઉંદરો અને જંતુઓનો ઉપદ્રવ અટકાવવા માટે પેનલ બોક્સની તપાસ કરવી, અને વધુમાં, જોડાણોનું કાટ અથવા બર્નિંગ માટે નિરીક્ષણ પણ કરવું જોઈએ.

આ ઉપરાંત  બેટરીની જાળવણી માટે મહિનામાં એકવાર બેટરીનું નિયમિત મૂલ્યાંકન અને બેટરીની સફાઈ કરવી આવશ્યક છે. બેટરીમાં ક્યાંય ઇલેક્ટ્રોલાઇટ લીક હોય કે તિરાડો હોય અથવા કનેક્ટર્સ અને ટર્મિનલ્સ પર કાટની હાજરી હોય એ ચેક કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ. સિસ્ટમની બેટરીઓ ક્લીન, ડ્રાય અને કાટ તથા ઇલેક્ટ્રોલાઇટ્સથી મુક્ત હોવી જોઈએ.