આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત, 2 હજાર કર્મચારીઓ બરખાસ્ત, ઉગ્ર આંદોલનની ચિમકી

ગાંધીનગર: અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકલાયાં નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.  દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહી છે. આ દરમિયાન,  ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યુ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગાંઘીનગરમાં ધામા નાખ્યા છે.

સરકારે પણ માગો ન સ્વીકારવાનું જાણે નક્કી કરી લીધું છે ત્યારે હવે આંદોલનકારી  આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે પગલાં ભરવાનું રાજ્ય સરકારે શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે આઠ જિલ્લામાંથી કુલ મળીને બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ જોતાં આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વકર્યો છે.  આરોગ્ય કર્મચારીઓએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે.

દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યાં છે. તપાસના અંતે ટર્મીનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અલ્ટીમેટમને પગલે ઘણાં કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુ, આરોગ્ય કર્મચારી સંઘે પણ ચિમકી ઉચ્ચારી છે, બે દિવસ દરમિયાન જો સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહી પાઠવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે. હાલ આઠ જિલ્લામાંથી 2 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયાં છે.  પાંચ હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટિસ અપાઇ છે.