સિનિયર ઓબ્ઝર્વર ગહેલોત, અન્ય નેતાઓની ગુજરાત મુલાકાત રદ

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જેમ જેમ ઢૂંકડી આવતી જાય છે, તેમ-તેમ રાજકીય પાર્ટીઓએ આગામી ચૂંટણીને લઈને કમર કસવાનું શરૂ કરી દીધું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત મિશન 2022 માટે રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજો આવતી કાલે અમદાવાદ આવવાના હતા, પણ સિનિયર ઓબ્ઝર્વર અશોક ગહેલોત, ટી.એસ. સિંહદેવ અને મિલિંદ દેવરાની આવતી કાલની ગુજરાત મુલાકાત રદ થઈ છે, કેમ કે તેઓ AICCમાં કોંગ્રેસના સિનિયર આગેવાનોની બેઠકમાં ભાગ લેવાના હોવાને કારણે આવતી કાલની તેમની ગુજરાત મુલાકાત રદ કરવામાં આવી છે.

જોકે આગામી દિવસોમાં આ સિનિયર નેતાઓની ફરીથી ગુજરાતની મુલાકાત આયોજિત કરવામાં આવશે.

આ વખતની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાતની લોકસભાદીઠ નિરીક્ષકો નીમ્યા છે. કોંગ્રેસ આ વખતે રાજ્યની 26 લોકસભા બેઠકો માટે નિરીક્ષકો નીમ્યા છે.  હવે આગામી દિવસોમાં કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગહેલોત આગામી ચૂંટણીમાં વ્યૂહરચના ઘડી કાઢશે. ગુજરાત કોંગ્રેસના 10 જેટલા સિનિયર લીડર્સ પણ આ આગામી બેઠકમાં હાજર રહેશે. કોંગ્રેસના આગામી કાર્યક્રમો અને ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા થશે.