ગુજરાતમાં ભૂલકાંઓને ન્યૂમોનિયા, મગજના તાવ સામે રક્ષણઃ રસીકરણ ઝુંબેશનો આરંભ

અમદાવાદઃ નાના ભૂલકાંઓને ન્યૂમોનિયા અને મગજના તાવની બીમારીઓ સામે રક્ષણ આપવા માટે કેન્દ્ર સરકારે આદરેલા યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં બાળકોને ન્યૂમોકોકલ કોન્જૂગેટ રસી આપવાનું કામકાજ આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ રસી ભૂલકાંઓને સરકાર તરફથી મફતમાં આપવામાં આવી રહી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તાર છોટા ઉદેપુર જિલ્લાના અલ્હાદપુરામાં અલ્હાદપુરા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આ રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશનો આરંભ કરાવ્યો હતો. રાજ્યમાં 18 મહિનાની વય સુધીના 12 લાખ જેટલા બાળકોને આ મફત રસી આપવાનું રાજ્ય સરકારે લક્ષ્ય નક્કી કર્યું છે.

એક અહેવાલ મુજબ, ભારતમાં ન્યૂમોકોકલ ન્યૂમોનિયા બીમારીથી 2010માં પાંચ વર્ષથી નાની વયનાં એક લાખથી વધારે બાળકો અને 2015માં આશરે 53,000 બાળકોનાં મરણ નિપજ્યા હતા. આ બીમારી શ્વાસને લગતી છે જેમાં બાળકને ફેફસાંમાં બળતરા થાય છે અને પ્રવાહીનો ભરાવો થવા માંડે છે. એને કારણે એને ખાંસી આવે છે, છાતીમાં સંકળામણ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ગળામાં બળતરા થાય છે. ન્યૂમોકોકલ રસી ભૂલકાંઓને ન્યૂમોનિયા મગજના તાવ રક્ષણ આપશે.

(તસવીર સૌજન્યઃ@CMOGuj, @GujHFWDept તથા જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ ટ્વિટર)