ગુજરાત: નવા ટ્રાફિકના નિયમોને લાગુ કરવા નોટિફિકેશન જાહેર કરશે સરકાર

ગાંધીનગરઃ 1લી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા ટ્રાફિકના નિયમોની દેશભરમાં ચર્ચા છે. ગુજરાતમાં પણ આ નિયમો લાગૂ થતા પહેલા જ વિરોધ શરુ થઈ ગયો છે. શુક્રવારે રાજકોટમાં નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો હતો. દંડની મસમોટી રકમથી વાહન ચાલકો પણ ફફડી ઉઠ્યા છે. જેથી ટ્રાફિકના નવા નિયમો મુજબ દંડની રકમ મામલે શનિવારે સરકાર ચર્ચા કરશે. રાજ્ય સરકાર ટ્રાફિકના સામાન્ય નિયમો તોડવા પર દંડની રકમ હળવી કરે તેવી શક્યતા છે, તો ટ્રાફિકના ગંભીર નિયમો પરના દંડને યથાવત જ રાખી શકે છે.

કેન્દ્ર સરકારે 1લી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા મામલે વાહન ચાલકોને કરાતા દંડની રકમમાં 10 ગણો વધારો કર્યો છે. રાજ્યના સરકારમાં ટોચના અધિકારીએ જણાવ્યું, અત્યાર સુધીમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ટ્રાફિકના સામાન્ય કાયદા તોડવા પર દંડમાં થોડી છૂટછાટ આપવામાં આવશે.

ટ્રાફિકના ગંભીર કાયદાઓ તોડવા જેવા કે દારૂ પીને ડ્રાઈવ કરવું, એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો વગેરે જેવા નિયમો તોડવા પરનો દંડની રકમમાં કોઈ રાહત નહીં મળે. શુક્રવારે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય સરકારની મીટિંગમાં ટ્રાન્સપોર્ટ, હોમ, ફાઈનાન્સ અને કાયદા વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતાં. અધિકારીએ જણાવ્યું કે, આ મીટિંગમાં 33 પ્રકારના જુદા જુદા ટ્રાફિકના નિયમો વિશે ચર્ચા કરાઈ હતી. સરકાર નવા કાયદાઓ માટેનું નોટિફિકેશન સોમવારે જાહેર કરી શકે છે.