24 કલાકમાં રાજ્યમાં 191 પોઝિટિવ કેસઃ169 અમદાવાદમાં

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. આજે જ અમદાવાદના કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે જો સ્થિતિ આ જ રહી તો અમદાવાદમાં કોરોના વિકરાળ સ્વરુપ ધારણ કરી લેશે. સરકાર અને તંત્ર દ્વારા વારંવાર લોકોને સમજાવવામાં આવે છે કે કામ વગર ઘરની બહાર નિકળવું નહી. કારણ કે કોરોના કોઈને પણ વળગતા વાર નથી કરતો અને વિચાર પણ નથી કરતો. આ મામલે દરેક લોકોએ ગંભીર રહેવાની જરુર છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 191 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે 15 લોકોનાં મોત નિપજ્યા છે. 15 મોતમાંથી 14 મોત માત્ર અમદાવાદના જ છે. અને સુરતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આમ ગુજરાતમાં કોરોનાનો કુલ આંક હવે 2815 થયો છે. અમદાવાદમાં 169 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સુરતમાં 6 અને વડોદરામાં 5 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 2 કેસ નોંધાયા છે. અને આણંદમાં 3 કેસ નોંધાયા છે

ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 2815 થયો છે. જેમાંથી 2394 લોકો સ્ટેબલ છે. જ્યારે 29 લોકો વેન્ટિલેટર પર છે. 265 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે કોરોનાને કારણે મોતનો કુલ આંક 127 થઈ ગયો છે.